Gujarati News

Gujarati News

News of Monday, 31st August 2020

વરસાદી આફતમાં ગુજરાત પોલીસના જવાનોની કાબિલેદાદ કામગીરીઃ જુનાગઢના વંથલીમાં પરિક્ષાર્થીઓને પૂરમાંથી હેમખેમ બચાવ્‍યાઃ ભરૂચ પાસે રાજપારડી પોલીસે જીવ દાવ ઉપર લગાવી નર્મદાના ધસમસતા પાણીમાંથી 18ના જીવ બચાવ્‍યા

અમદાવાદ: ગુજરાતના જાંબાજ પોલીસ જવાનો સંકટના સમયે બાહોશ કામગીરી બજાવે છે તેના કિસ્સાઓ અનેક છે. ત્યારે હાલ સમગ્ર ગુજરાતમાં જ્યાં ભારે વરસાદને પગલે પૂર જેવી સ્થિતિ છે, તેવામાં ગુજરાત પોલીસના બે કાબિલેદાદ કિસ્સાઓ સામે આવ્યા છે. જેમાં પોલીસ

જવાનો પોતાનો જીવ જોખમમાં મૂકીને લોકોનો જીવ બચાવી રહ્યાં છે. આ ઘટના છે ભરૂચ અને જુનાગઢની. જ્યાં પોતાના જીવની પરવાહ કર્યા વગર પોલીસ જવાનો લોકોની મદદ કરવા પૂરના ધસમસતા વહેણમાં કૂદી પડ્યા છે.  

પોલીસે પરીક્ષાર્થીઓને રસ્તો પાર કરાવ્યો

જૂનાગઢમાં વરસાદ આફત વચ્ચે વંથલી પોલીસની સુંદર કામગીરી સામે આવી છે. વરસાદના પગલે બંધ થયેલા વંથલી માણાવદર હાઇવે પર પોલીસ કર્મચારીઓએ પરીક્ષાર્થીઓને રસ્તો પાર કરાવ્યો હતો. વંથલી પંથકમા છેલ્લાં 24 કલાકમાં અનરાધાર વરસાદ ના પગલે તમામ નદીઓ ગાંડીતુર બની છે. સવારથી વંથલી-માણાવદર હાઇવે પર ભરાયેલા ઘૂંટણ સમા પાણીથી આ સ્ટેટ હાઇવે બંધ થયો હતો. જેથી વંથલી પંથકના ગામડાઓમાથી બીએડની પરીક્ષા આપવા જનાર વિદ્યાર્થીઓ બંધ રસ્તાને કારણે પાણીમાં ફસાયા હતા. વિદ્યાર્થીઓ પોતાની પરીક્ષામાં સમયસર પહોંચી શકે તેવા ઉમદા હેતુથી આ ધસમસતા પ્રવાહને પસાર કરાવવા ત્યા બંદોબસ્ત કરી રહેલા વંથલી પોલીસના જવાન જગદીશભાઇ ભાટુ અને જી.આર.ડી. જવાન ચંદુભાઇ વાણવીએ ભારે જહેમત ઉઠાવી હતી. જીવને જોખમમાં મુકી આવા વિદ્યાર્થીઓને રસ્તો પાર કરાવ્યો હતો. ખાખીની આ ઉમદા સેવાને નજરે જોનારા તમામ વ્યક્તિઓએ બિરદાવી હતી.

18 લોકોને વંથલી પોલીસે પૂરમાંથી બચાવ્યા

ભરૂચ પાસેના રાજપારડી પોલીસે પોતાનો જીવ દાવ ઉપર લગાવી નર્મદાના ધસમસતા પાણીમાંથી 18 લોકોના જીવ બચાવ્યા છે. નર્મદા નદીમાં જળપ્રવાહ વધતા ભરૂચ પાસેનું જૂની જરસાડ ગામ સંપર્ક વિહોણું બન્યું હતું, જેથી ગામના 18 લોકો ફસાયા હતા. ત્યારે પીએસઆઇ જયદીપસિંહ જાદવ પોતાની ટીમ સાથે રસ્સા બાંધી ધસમસતા પાણીમાં ઉતર્યા અને ફસાયેલા લોકોનું રેસ્ક્યૂ કર્યું હતું. ગતવર્ષે પણ રાજપારડી પીએસઆઇ જયદિપસિંહ જાદવે આજ જગ્યાએથી 32 લોકોને રેસ્ક્યૂ કર્યા હતા.

(5:48 pm IST)