Gujarati News

Gujarati News

News of Friday, 31st December 2021

એસ.ટી. કર્મચારી મહામંડળના સ્વ.પ્રમુખ સતુભા ગોહીલની પ્રથમ માસીક પુણ્યતિથીએ મહા કેમ્પ યોજાયો- ગુજરાતના ૧૦૪૮ કર્મચારીએ રકતદાન કર્યુ

રાજકોટ એસ.ટી.ડીવીઝનનાં કર્મચારીઓ દ્વારા રાજકોટ એસ.ટી.બસ પોર્ટ ખાતે સ્વ.સતુભા ગોહિલની પ્રથમ માસિક પુણ્યતિથિએ રકતદાન કરી શ્રધ્ધાંજલી આપી હતી જે તસ્વીરમાં નજરે પડે છે(તસ્વીરઃ નિલેશ ચંદારાણાઃ વાંકાનેર)(૨૩.૨)

વાંકાનેર, તા.૩૧: ગુજરાત રાજય એસ.ટી કર્મચારી મહામંડળના પ્રમુખ સ્વ-સતુભા ભાવસિંહજી ગોહીલની પ્રથમ માસીક પુણ્યતિથિએ ગુજરાત એસ.ટીના કર્મચારીઓએ સ્વૈચ્છિક રકતદાન કરી સતુભા ગોહીલને શ્રધ્ધાંજલી આપી પ્રેરણાદાય કાર્ય કર્યુ હતું.

રાજકોટ એસ.ટી.વિભાગના પ્રમુખ જયુભા જાડેજાએ જણાવેલ કે ગુજરાત રાજય એસ.ટી.કર્મચારી મહામંડળના પ્રમુખ સ્વ-સતુભા ભાવસિંહજી ગોહીલની પ્રથમ માસીક પુણ્યતિથિએ એસ.ટી કર્મચારી દ્વારા સ્વૈચ્છિક રકત દાન કેમ્પ કરી શ્રધ્ધાંજલી અર્પણ કરવા માટેના કાર્યક્રમ દરેક ડીવીઝન કચેરીએ યોજાયેલ જેમાં કુલ ૧૦૪૮ કર્મચારીઓએ રકતદાન કરી પ્રેરણારૂપ કાર્ય કર્યુ છે.

રાજકોટ બસ પોર્ટ ઉપર ડીવીઝન હેઠળના એસ.ટીના કર્મચારીઓએ પણ રકતદાન કરી ૧૦૪ બોટલ રકતદાન બ્લડ બેંકને અર્પણ કર્યુ હતું. આ રકતદાન શીબીર સાથે શ્રધ્ધાંજલી કાર્યક્રમમાં કર્મચારી મહામંડળના મહામંત્રી ધીરેન્દ્રસિંહ સોલંકી, કાર્યકારી પ્રમુખ જયુભા ડી. જાડેજા, બટુકસિંહ મકવાણા ઉપરાંત રાજકોટ વિભાગના વિભાગીય નિયામક કાલોત્રા, ડી.એમ.ઇ સોની, ડેપો મેનેજર વરમોરા, ઠુંમર, અનિરૂધ્ધસિંહ પરમાર (શંભુભાઇ) સહીતના એસ.ટી.ના અગ્રણી અધીકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને સ્વ-સતુભા ગોહીલ પ્રત્યેનો કર્મચારીઓનો પ્રેમભાવને બીરદાવેલ. રાજકોટ ડીવીઝનના પ્રમુખ જયુભા.ડી.જાડેજાએ સૌનો આભાર માન્યો હતો.

(10:21 am IST)