Gujarati News

Gujarati News

News of Friday, 31st December 2021

કાલથી સુરત-અમરેલી વચ્ચે સસ્તી હવાઇ સુવિધાનો પ્રારંભ

ઉડ્ડયન મંત્રી અરવિંદભાઇ રૈયાણીના હસ્તે સુરતથી અમદાવાદ, ભાવનગર, રાજકોટ અને અમરેલી સુધીની હવાઇસેવા ખુલ્લી મુકાશેઃ વિમાન ૯ પેસેન્જર અને ૨ પાઇલોટ સાથે ઉડાન ભરશે : સુરતથી અમરેલી ૪૫ મિનિટમાં પહોંચાડશે : ટિકિટદર રૂ. ૧૯૯૯

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી,તા. ૩૧: ઉડ્ડયન મંત્રી પૂર્ણેશભાઈના હસ્તે આગામી તા.૧લી જાન્યુ.-૨૦૨૨એ સુરત એરપોર્ટથી વેન્ચુરા એરકનેકટની આંતરરાજય હવાઈ સેવાઓનો શુભારંભ કરવામાં આવશે. આ પ્રકલ્પના આરંભ પ્રસંગે કેન્દ્રીય રેલવે મંત્રી દર્શનાબેન જરદોશ, ગૃહ રાજયમંત્રીશ્રી હર્ષ સંઘવી, ઉડ્ડયન રાજયમંત્રીશ્રી અરવિંદભાઈ રૈયાણી, કૃષિ, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ રાજય મંત્રીશ્રી મુકેશભાઈ પટેલ, શહેરી વિકાસ રાજયમંત્રીશ્રી વિનોદભાઈ મોરડીયા, ભાજપ પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટિલ વિશેષ ઉપસ્થિત રહેશે.

આંતરરાજય હવાઈ સેવા પૂરી પાડનાર સુરતની એરલાઈન્સ કંપની વેન્ચુરા એરકનેકટ લિ.તા.૧ જાન્યુ.૨૦૨૨ થી ૯ સીટર વિમાનો વડે સુરતથી અમદાવાદ, સુરતથી ભાવનગર, સુરતથી રાજકોટ અને સુરતથી અમરેલી; આ ૪ સેકટર પર દૈનિક ફ્લાઈટ શરૂ કરશે. રાજય સરકાર દ્વારા એરલાઈન્સ કંપની વેન્ચુરા એરકનેકટ સાથે રાજયમાં વિવિધ શેહેરોને પરસ્પર હવાઈમાર્ગે જોડવા માટે કરાર કરવામાં આવ્યો છે. જેના ભાગરૂપે પ્રારંભ થનાર આ હવાઈસેવા દુનિયામાં સૌથી સુરક્ષિત કેટેગરીમાં સામેલ એવા સેસના ગ્રાન્ડ કેરેવાન દ્વારા પૂરી પાડવામાં આવશે.

વેન્ચુરા દ્વારા વિમાન ૯ પેસેન્જર અને ૨ પાઈલોટ સાથે ઉડાન ભરશે અને સેકટર પ્રમાણે સુરતથી ભાવનગર ૩૦ મિનિટમાં, સુરતથી અમરેલી ૪૫ મિનિટમાં, સુરતથી અમદાવાદ ૬૦ મિનિટમાં અને સુરતથી રાજકોટ ૬૦ મિનિટમાં સફર પૂર્ણ થશે. રાજય સરકારના સહયોગથી શરૂ થઈ રહેલી આ ઝડપી હવાઈસેવાનો ઈમરજન્સીના સમયે વૃદ્ઘ-અશકતો માટે તો ફાયદો થશે જ, સાથોસાથ ઉદ્યોગો, અને પ્રવાસનને પણ મોટો લાભ થશે. આ એરલાઈન્સનો તમામ વર્ગના લોકો લાભ લઈ શકે તે માટે પ્રારંભિક ધોરણે સંપૂર્ણ જાન્યુઆરી મહિના માટે તમામ સેકટર માટે એકસમાન રૂ. ૧૯૯૯ ટિકિટદર રાખવામાં આવ્યો છે. આમ,નવા વર્ષે ગુજરાતને નવી ઉડ્ડયન સેવાનો લાભ મળશે.

સુરત આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર યોજાનાર સમારોહમાં મેયર શ્રીમતી હેમાલીબેન બોઘાવાલા, રાજયના ઉડ્ડયન વિભાગ સચિવ હારિત શુકલા, જિલ્લા કલેકટર આયુષ ઓક, સુરત એરપોર્ટ ડાયરેકટર શ્રીમતી અમન સૈની, કેપ્ટન શ્રી અજય ચૌહાણ CEO ગુજસેલ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

(12:57 pm IST)