Gujarati News

Gujarati News

News of Friday, 31st December 2021

મોરબીમાં બેંક, શોપિંગ મોલ અને થીયેટરમાં સિક્યુરીટી ગાર્ડ અને સીસીટીવી કેમેરા અંગે જાહેરનામું.

મોરબી જિલ્લા વિસ્તારમાં આવેલ તમામ બેંકો, તમામ એ.ટી.એમ. (A.T.M.) સેન્ટરો, સોના-ચાંદી તથા ડાયમંડના કિંમતી ઝવેરાતના શો-રૂમ તથા શોપીંગ મોલ, મલ્ટીપ્લેક્ષ થીએટર, એલ.પી.જી. તથા પેટ્રોલ-ડીઝલના પેટ્રોલીયમ કંપનીના સ્ટોરેજ ડેપોના પ્રવેશ દ્વાર પર સિકયુરીટી મેન ફરજ પર નિયુકત કરવા તેમજ સીસીટીવી લગાવવા અંગે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, એન.કે.મુછાર દ્વારા જાહેરનામુ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.

આ જાહેરનામા અનુસાર બેંકો, તમામ એ.ટી.એમ. (A.T.M.) સેન્ટરો, સોના-ચાંદી તથા ડાયમંડના કિંમતી ઝવેરાતના શો-રૂમ તથા બીગ બાઝાર જેવા શોપીંગ મોલ, મલ્ટીપ્લેક્ષ થીએટર, એલ.પી.જી. તથા પેટ્રોલ-ડીઝલના પેટ્રોલીયમ કંપનીના સ્ટોરેજ ડેપો ડેપોના પ્રવેશ દ્વાર પર સિકયુરીટી મેન ફરજ પર નિયુકત કરવા તેમજ પ્રવેશ દ્વાર પર તથા બહાર નીકળવાના દ્વારે રોડ પરથી પ્રવેશ કરનાર અને બહાર નીકળનારના રોડ સુધીના રેકોર્ડીંગ પ્રાપ્ત થઈ શકે તે રીતે રીસેપ્શન કાઉન્ટર, લોબી, બેઝમેન્ટ,પાર્કિંગની જગ્યાઓ તથા જાહેર પ્રજા માટે જયાં પ્રવેશ હોય ત્યાં તમામ જગ્યાઓ આવરી લેવામાં આવે તેટલી સંખ્યામાં સી.સી.ટી.વી. કેમેરાની વ્યવસ્થા કરવાની રહેશે.
હાઈ–વે પર આવેલ તમામ પેટ્રોલ પંપના ફીલીંગ સ્ટેશન પર તથા પેટ્રોલ પંપની આજુબાજુમાં આવેલ દુકાનો પર ગાડીના નંબર અને ગાડીના ડ્રાઈવર તથા ડ્રાઈવરની બાજુમાં બેસેલ વ્યકિતનું રેર્કોડીંગ થઈ શકે તે રીતે હાઈડેફીનેશનવાળા નાઈટ વિઝન ધરાવતા સી.સી.ટી.વી. કેમેરા રાખવાના રહેશે. તમામ હોટલના ભોજનકક્ષ અને હોટલની આજુબાજુમાં આવેલ દુકાનો પર ગાડીના નંબર દેખાય તે રીતે તથા ભોજનકક્ષમાં બેઠેલ વ્યકિતનું રેર્કોડીંગ થઈ શકે તેમજ હોટલમાં આવતી-જતી તમામ વ્યકિતઓનું રેકોડીંગ થઈ શકે તે રીતે હાઈડેફીનેશનવાળા નાઈટ વિઝન ધરાવતા સી.સી. ટી.વી. કેમેરા રાખવાના રહેશે.
મોરબી જિલ્લા વિસ્તારમાં આવેલ દરેક હોટલ, સિનેમાહોલ, મોટા મંદિરો, સાયબર કાફેમાં સારી કવોલીટીના સી.સી.ટી.વી. કેમેરા લગાવવાના રહેશે. સી.સી.ટી.વી. કેમેરા સતત ૨૪ કલાક ચાલુ રહે તે જોવાની જવાબદારી માલીકો/વહીવટકર્તાઓની રહેશે. સી.સી.ટી.વી. કેમેરાની વ્યવસ્થા તમામ એકમોએ આ જાહેરનામાં પ્રસિધ્ધિની તારીખથી દિન-૧૦ માં-ઉભી કરવાની પણ જાહેરનામામાં જણાવવામાં આવ્યું છે. ઉપરાંત નવા શરૂ થતાં એકમોએ ઉપરોક્ત વ્યવસ્થા કર્યા બાદ જ ધંધો શરૂ કરવાનો રહેશે. આ જાહેરનામુ  અમલ તા.૨૮/૦૨/૨૦૨૨ સુધી અમલી રહેશે.

(11:36 pm IST)