વાવાઝોડાના કારણે શાળામાં ફસાયેલ ૧૫ બાળકોને NDRF તથા સ્થાનિક તંત્ર દ્વારા વીજળી ગતિએ બહાર કાઢયા
જામનગરમાં સતર્કતા અને સજ્જતાની ચકાસણી : મોકડ્રીલ યોજાઇ
જામનગર તા. ૧: જિલ્લા તંત્રની સજ્જતા અને સતર્કતા ચકાસવા તેમજ કુદરતી આપદા વેળાએ લોકોને ત્વરિત મદદ મળી રહે તે માટે જામનગરની ડી.સી.સી. સ્કૂલ ખાતે NDRF તેમજ જિલ્લા વહિવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વાવાઝોડાના કારણે ૧૫ જેટલાં બાળકો શાળામા ફસાયા હતા અને તમામને નાની મોટી ઇજાઓ થઈ હતી.ઇજાને કારણે તેઓ અસહાય સ્થિતિમાં હતા અને શાળાના મકાનમાંથી બહાર નીકળવા સક્ષમ ન હતા. જે ઘટનાની જાણ થતાં જ NDRF, SDRF તેમજ સ્થાનિક વહિવટી તંત્રએ તત્કાલ બચાવ કામગીરી હાથ ધરી હતી, અને આધુનિક સંસાધનો સાથે જવાનો દ્વારા શાળામાં ફસાયેલ તમામ બાળકોને હેમખેમ બહાર કઢાયા હતા. અને અંતમાં NDRF દ્વારા આ સમગ્ર કવાયતને મોકડ્રિલ જાહેર કરાતા તંત્રએ હાસકારો અનુભવ્યો હતો.
આ સમગ્ર મોકડ્રિલમાં શહેર પ્રાંત અધિકારી શ્રી ડી.ડી.શાહ, NDRF ઇન્સપેક્ટર સુધીર કુમાર, ડિસ્ટ્રિક્ટ પ્રોજેક્ટ ઓફિસર ડિઝાસ્ટર મેનેજમેન્ટ માનસીસિંઘ તેમજ પોલીસ વિભાગ, ફાયર વિભાગ, ૧૦૮ ઇમરજન્સી, આરોગ્ય વિભાગ, પી.જી.વી.સી.એલ., માર્ગ અને મકાન વિભાગ, જામનગર મહાનગરપાલિકા, જિલ્લા હોમગાર્ડસ, નાગરિક સંરક્ષણ વિભાગ, શિક્ષણ વિભાગ, આર.ટી.ઓ. સહિતના વિભાગો જોડાયા હતા અને સમગ્ર કવાયતને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.