ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ ટવીટ કરી
હળવદ : પાણીમાં તણાઇ ગયેલા પિતા- પુત્રના પરિવારને ૪ લાખની સહાય
(દિપક જાની) હળવદ,તા.૧ : તાલુકાના રાયસંગપર પરથી હળવદ જવાના રસ્તે વોકળામાં પિતા-પુત્ર તણાઈ ગયા હતા. આ બનાવ અંગે શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ ટ્વિટ કરી મૃતકોના પરિવારને સાંત્વના પાઠવી છે. તેમજ રાજય સરકાર વતી રૂ. ૪ લાખની સહાયની જાહેરાત કરી છે.
ગત તા. ૨૩ અને ૨૪ના ભારે વરસાદ દરમિયાન રાયસંગપર ગામના નારાયણભાઈ બેચરભાઈ દલવાડી (ઉ.વ. ૪૫) અને તેમનો પુત્ર શ્રીપાલ નારાયણભાઈ દલવાડી (ઉ.વ.૧૮) અને તેમનો ભત્રીજો જીગો આ ત્રણેય હળવદમાં ગુજકેટની પરીક્ષા માટે આવતા હોય આ દરમિયાન નારાયણભાઈ અને તેમનો પુત્ર શ્રીપાલ વોકળામાં તણાયા હતા. બાદમાં તેમના મૃતદેહ મળી આવ્યા હતા. આ બનાવ અંગે રાજયના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ ટ્વીટ કરી સદગત પિતા-પુત્રના કુટુંબીજનોને સંવેદના પાઠવી છે. તેમજ રાજય સરકાર વતી રૂ. ૪ લાખની રોકડ સહાયની જાહેરાત કરી છે.