સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 1st September 2020

જામનગરઃ વેલનાથ સોસાયટીમાં રાજકીય પક્ષોએ પગ મુકવો નહીં : બેનરો લાગ્યા

ગટર, પાણી, સફાઇ સહિતના પ્રશ્ને રહેવાસીઓ કંટાળી ગયા અને બેનર યુધ્ધના મંડાણ

જામનગરઃ જામનગરના હાપા વિસ્તારમાં આવેલા વેલનાથ સોસાયટીમાં સ્થાનિકોએ કોઈપણ રાજકીય પક્ષોએ પગ મુકવો નહીં મત માંગવા નહીં તેવા બેનર લગાવતા આશ્યર્ય ફેલાયું છે. વેલનાથ સોસાયટીના રહીશોએ સોસાયટીના નાકે જ બેનર લગાવતા રાજકારણમાં ગરમાવો આવ્યો છે. જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર ૧૧માં આવેલ હાપાની વેલનાથ સોસાયટીમાં છેલ્લા કેટલાય સમયથી રોડ, ગટર,સ્ટ્રીટ લાઈટ, વરસાદી પાણીના નિકાલ, સફાઈ, પીવાના પાણી, આરોગ્ય સહિતના પ્રાથમિક પ્રશ્ન ઉકેળતા નથી. આ બાબતે સોસાયટીના રહેવાસીઓએ અનેક વખત રજુઆત કરવા છતાં કોઈ નિવેડો નહીં આવતા અંતે બેનર યુદ્ઘના મંડાણ કર્યા છે. કોઈપણ ચુંટાયેલા નગરસેવક કે જામનગર મહાનગર પાલિકાના અધિકારીઓ દ્વારા કોઈ કામગીરી કરવામાં આવતી નથી. જેથી કંટાળેલા લોકોએ અંતે બેનર લગાવી રોષ વ્યકત કરી રહ્યા છે. ત્યારે જામનગરમાં ચૂંટણી પૂર્વે જ રાજકારણ ગરમાયુ છે. (તસવીરઃ કિંજલ કારસરીયા જામનગર)

(12:58 pm IST)