સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 1st September 2020

માંગરોળનાં પૂર્વ ધારાસભ્ય ભગવાનજી કરગઠીયા પણ સંક્રમિતઃ જૂનાગઢ જિલ્લામાં વધુ ૩પ કેસ નોંધાયા

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ તા. ૧ :.. માંગરોળના પૂર્વ ધારાસભ્ય ભગવાનજીભાઇ કરગઠીયા પણ સંક્રમિત થયા હોવાનું જાણવા મળેલ છે.

બીજી તરફ જૂનાગઢ જિલ્લાનાં ગઇકાલે વધુ ૩પ પોઝીટીવ કેસ સામે આવેલ જો કે, એક જ દિવસમાં ૪૭ દર્દી સ્વસ્થ થતા તેમને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા હતાં.

જુનાગઢ જિલ્લામાં પોઝીટીવ કેસ સતત વધી રહ્યા છે. અગાઉ વિસાવદરનાં ધારાસભ્ય હર્ષદભાઇ રીબડીયા તથા તેમના પત્ની અને પુત્રનો રિપોર્ટ પોઝીટીવ આવેલ અને હવે માંગરોળનાં પૂર્વ ધારાસભ્ય ભગવાનજીભાઇ કરગઠીયા પણ સંક્રમીત થયા છે.

શ્રી કરગઠીયાનો રિપોર્ટ પોઝીટીવ આવતા તેમને ગઇકાલે કેશોદ કોવીડ સેન્ટરમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં.

કેશોદ કોવીડ સેન્ટરનાં સુત્રોના જણાવ્યા મુજબ શ્રી કરગઠીયાને સોમવારે કોરોના થતાં તેમને સારવાર આપવામાં આવી રહી છે. હાલ કોવીડ સેન્ટરમાં ૩૦ પોઝીટીવ દર્દી સારવાર હેઠળ હોવાનું જણાવ્યું હતું.

સોમવારે જિલ્લામાં નવા પોઝીટીવ કેસ ૩પ આવ્યા હતાં. જેમાં સૌથી વધુ જૂનાગઢ સીટીનાં ૧૮ દર્દીનો સમાવેશ થાય છે.

બીજી બાજૂ જિલ્લાના વધુ ૪૭ દર્દીએ કોરોનાને માત આપતા તેમને સારવારમાંથી મુકત કરવામાં આવ્યા હતાં.

(12:59 pm IST)