ભાયુભાગની મિલ્કત પ્રશ્ને થયેલ મારામારીના કેસમાં વાંકાનેર કોર્ટ દ્વારા આરોપીનો છૂટકારો
વાંકાનેર,તા. ૧ : ભાયુ ભાગની મિલકતના પ્રશ્ન વાંધા બાબતે થયેલ મારામારી અંગેની ફરિયાદના કામે આરોપીઓનો નિર્દોષ છૂટકારો કોર્ટ ફરમાવેલ હતો.
ગત તા. ૧૯-૬-૨૦૧૫ના રોજ વાંકાનેર તાલુકાનાં મેસરિયા ગામે ફરિયાદી મંજુબેન હીરાભાઇ કુમખાણીયા સવારના ૭ વાગ્યે ઘરેથી સરકારી મંડળીએ દૂધ ભરવા ગયેલ ત્યાંથી પાછા ઘરે પરત આવતા હતા. ત્યારે આરોપી કાના નાગજીના ઘર પાસેથી ફરિયાદી પસાર થતા આરોપીઓ કાના નાગજી તથા અશોક કાના ફરિયાદીને જોઇ ગાળો બોલવા લાગેલ ફરિયાદીએ ગાળો દેવાની ના પાડતા આરોપી કાના નાગજી ઉશ્કેરાઇ જઇ ઘરમાંથી ધારિયુ લઇ ફરિયાદી મંજુબેનને જમણા હાથમાં ખંભાના ભાગે ઉંધુ ધારિયુ મારી દીધેલ તથા આરોપી અશોક એ લાકડી લઇ આવી ફરિયાદીને વાસામા પગના ભાગે બે ત્રણ ઘા મારી દેતા ફરીયાદીને ઇજાઓ થયેલ જે બાબતની ફરિયાદ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ હતી.
આ કામે આરોપી વિરૂધ્ધ આઇ.પી.સી. કલમ ૩૨૩, ૩૨૫, ૫૦૪, ૧૧૪ તથા જી.પી.એકટની કલમ ૩૭ (૧), ૧૩૫નો ગુન્હો નોંધાયેલ જે બાબતનો કેસ વાંકાનેરના જયુડીશ્યલ મેજી. શ્રી એસ.કે. પટેલની કોર્ટમાં ચાલી જતા આરોપીના વકિલશ્રી આદિલ એ.માથકિયાએ દલીલ કરેલ તેમજ આરોપી વિરૂધ્ધ પુરતા પુરાવાના અભાવે આરોપીને નિર્દોષ છોડી મુકવાનો હુકમ કરેલ છે.
આ કામે આરોપી વતી મુસ્કાન એસોસિએટસના એડવોકેટ શિરાકમુદીન એમ. શેરસિયા (ગઢવાળા) તથા આદિલ એ.માથકીયા રોકાયેલ હતા.