પોરબંદરમાં ભુપેન્દ્રભાઇ પટેલ કાલે ગાંધી જયંતીએ સર્વધર્મપ્રાર્થનાસભામાં હાજર રહેશેઃ જાહેરસભા રદ
મુખ્યમંત્રી પૂ.ગાંધીજીને પુષ્પાંજલિ અર્પણ બાદ સીટી બસ સેવાનું લોકાપર્ણ કરશે
(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા.૧ : મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ આવતીકાલે ગાંધી જયંતીએ કીર્તિમંદિરે યોજાનાર સર્વધર્મ પ્રાર્થના સભામાં હાજરી આપીને પુ. ગાંધીજીને પુષ્પાંજલિ અર્પણ કરશે. આવતીકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇના હસ્તે સીટી બસ સેવાનું લોકાર્પણ કરાશે. સુદામા ચોક ખાતે યોજાનાર મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલની જાહેરસભા રદ કરાય છે.
પૂ.ગાંધીના જન્મસ્થાન કીર્તિમંદિર ખાતે બીજી ઓકટોબરના રોજ રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ પૂ.બાપુને શ્રધ્ધાસુમન અર્પણ કરવા સવારે આઠ વાગ્યે પ્રાર્થનાસભામાં ઉપસ્થિત રહ્યા બાદ કીર્તિમંદિર નજીક શીતલા ચોક ખાતે નવ વાગ્યે સિટીબસનું લોકાર્પણ તેમના હસ્તે કરવામાં આવશે. અગાઉ એવું જાહેર થયુ હતુ કે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ સુદામા ચોક ખાતે સભાને સંબોધશે અને તેના માટે તૈયારીઓ પણ શરૃ થઇ હતી. પરંતુ હવે બીજી ઓકટોબરે સંભવતઃ રાષ્ટ્રપતિની ગુજરાતની મુલાકાતે અનુસંધાને અમદાવાદમાં હાજરી આપવાની હોવાથી તેના કારણે પોરબંદરના સુદામા ચોકમાં સભાનો જાહેર કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે.