સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 30th November 2022

મહારાષ્ટ્રથી વાઘની જોડી ગુજરાત લાવવામાં આવી

અભ્યાસ અને પ્રવાસનના હેતુથી એનીમલ એક્ષચેન્જ પ્રોગ્રામ : જૂનાગઢ જિલ્લામાં આવેલાં સક્કરબાગમાં આ વાઘની જોડી લાવવામાં આવી

જૂનાગઢ , તા.૨૯ : ભારત સરકારના પ્રાણીઓની જાળવણી અંગેના એટલેકે, વાઈલ્ડલાઈફના નિયમોને અનુસરીને આપણે ત્યાં અભ્યાસ અને પ્રવાસનના પર્પઝથી એનીમલ એક્ષચેન્જ પ્રોગ્રામ ચાલતો હોય છે. જેમાં એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં પ્રાણીઓને ઝૂમાં એક્ષચેન્જ કરવામાં આવતા હોય છે. એ જ પ્રોગ્રામ અંતર્ગત ગુજરાતમાં મહારાષ્ટ્રથી લાવવામાં આવી છે એક વાઘની જોડી. આ પ્રોગ્રામ અંતર્ગત આપણે ત્યાંથી એક સિંહની જોડી આપીને વાઘ અહીં લાવવામાં આવ્યાં છે. જૂનાગઢ જિલ્લામાં આવેલાં સક્કરબાગમાં આ વાઘની જોડી લાવવામાં આવી છે.

એક્ષચેન્જ પ્રોગ્રામ અંતર્ગત મુંબઈના ઝૂમાંથી ગુજરાતના જૂનાગઢ સ્થિત સક્કરબાગમાં વાઘની આ જોડી લવાઈ છે. બદલામાં તેમની આપણાં તરફથી એક સિંહની જોડી આપવામાં આવી છે. ૩૦ વર્ષ બાદ ગુજરાતમાં વાઘની જોડીનું આગમન થયું છે. જૂનાગઢના સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં મુંબઇથી વાઘની જોડી લવાઇ હોય તે પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બનશે. અંદાજે ૧૫૦ વર્ષ કરતા જૂના સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં પ્રતિ વર્ષ લાખોની સંખ્યામાં મુલાકાતીઓ આવે છે.

એનીમલ એક્ષચેન્જ પ્રોગ્રામ હેઠળ અહિંથી પ્રાણીઓને અન્ય પ્રાણી સંગ્રહાલયમાં મોકલી ત્યાંથી નવા પ્રાણી મંગાવવામાં આવે છે. ત્યારે એનીમલ એક્ષચેન્જ પ્રોગ્રામ હેઠળ સક્કરબાગ ખાતેથી ૨.૫ વર્ષના સિંહ અને ૨ વર્ષની સિંહણને સંજય ગાંધી નેશનલ પાર્ક, મુંબઇમાં મોકલવામાં આવ્યા છે. જ્યારે ત્યાંથી ૨ વાઘને લવાયા છે. આમાં વાઘની ઉંમર ૬ વર્ષની છે, જ્યારે વાઘણની ઉંમર ૪ વર્ષની છે.

(12:52 pm IST)