જુનાગઢ વકીલ મંડળની માંગણી સ્વીકારતુ તંત્ર
રેવન્યુ રેકર્ડના કેશો ૪ વાગ્યે જ ચાલશે
જુનાગઢ, તા.૩૦: કલેકટરશ્રી સમક્ષ ખેતીની જમીનના રેવન્યુ રેકર્ડના જે કેસોની સુનાવણી થાય છે તે સુનાવણીનો વર્ષોથી સમય બપોરના ૪ વાગ્યાનો હતો. પરંતુ ૧૦ માસથી આ સમયમાં ફેરફાર કરી બપોરના ૧૨ કલાકનો કરવામાં આવતા આવા કેસોની સુનાવણી માટે જતા જુનાગઢ શહેર તથા જીલ્લાના વકીલશ્રીઓને તેમજ આવા કેસોમાં સંકળાયેલ પ્રજાજનોને પારાવાર મુશ્કેલી થતી હતી.
જુનાગઢ બાર એસોસીએશન દ્વારા આ અંગે વારંવાર લેખીતમાં કલેકટરશ્રી જુનાગઢને રજુઆતો કરેલ તેમજ જુનાગઢ બાર એસોસીએશનની જનરલ બોર્ડમાં પણ આ મુદો ઉઠાવી સર્વાનુમે ઠરાવ કરી આ મુદે જુનાગઢ કલેક્ટર કચેરી પર તા.૨૫/૧૧/ર૦રરના વકીલશ્રીઓની મોટી સંખ્યામાં રેલી લઈ જવાનો નિર્ણય કરેલ જો કે કલેકટર કચેરી દ્વારા જુનાગઢ વકીલ મંડળની માંગણી માન્ય રાખી રેવન્યુ રેકર્ડ અંગેના કેસોની સુનાવણીનો સમય બપોર બાદનો કરવામાં આવશે તેવો લેખીત આદેશ કચેરી દ્વારા કર્યાના હુકમની જાણ કરતા વકીલોની રેલી કાઢવાનો કાર્યકમ જુનાગઢ બાર દ્વારા રદ કરેલ અને જુનાગઢ બાર એસોસીએશને તંત્રનો આભાર વ્યકત કરતા હોવાનુ જુનાગઢ બાર એસોસીએશનના પ્રમુખ ભાવેશભાઈ ઝીંઝુવાડીયા તથા સેક્રેટરી મનોજભાઈ દવેએ સંયુકત યાદીમાં જણાવેલ છે.