માળિયાના શખ્સો દ્વારા કતલના ઈરાદે ભચાઉમાંથી ૧૩ ગૌવંશની ચોરીઃ ૬ ક્રૂર રીતે બાંધેલ હાલતમાં જીવતા મળ્યા, શંકાસ્પદ અવશેષો મળ્યા
ગૌ હત્યા કરનાર ટોળકીને ઝડપી પાડવા ગૌ પ્રેમીઓની માંગઃ ગૌમાતાને રેલ્વે ટ્રેક ઉપર દોડાવી દોડાવી ઉપાડી જાય છે
(વિનોદ ગાલા દ્વારા)ભુજ,તા.૨: કચ્છના ભચાઉ તા.ના કટારિયા ગામની સીમમાંથી ચરતા ૭ ગાય, ૩ વાછરડાં અને ૩ બળદ એમ ૧૩ ગૌવંશની ચોરી કરાયાની ફરિયાદ લખાવાઈ હતી. ૨૯ તા.ના ચરવા ગયેલા આ ગૌ વંશ સીમમાંથી પાછા ન ફરતા તે અંગે ગૌ પ્રેમીઓને જાણ થતાં તપાસ હાથ ધરાઇ હતી.
ભચાઉ પંથકમાં ગૌ પ્રેમીઓની તપાસ દરમ્યાન રેલ્વે ટ્રેક ઉપર દોડાવી દોડાવી આ ગૌ વંશને માળિયા તરફ ન શખ્સો લઈ ગયા હોવાનું જાણવા મળતાં તપાસ હાથ ધરાઇ હતી. જે દરમ્યાન હાજિયાસર ગામની સીમમાંથી ૬ ગાયો ક્રૂર રીતે બાંધેલી હાલતમાં જીવતી મળી આવી હતી. જયારે અન્ય ૭ ગૌ વંશનો અત્તોપત્તો ન હોઈ ત્યાં વધુ છાનબીન કરાતા ગૌ વંશના મૃત અવશેષો મળી આવ્યા હતા. આ અંગે અખિલ ભારત નવયુગ સંસ્થાના ગીરજાશંકર મૂળશંકર જોષીએ અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ લખાવી છે. ગૌ પ્રેમીઓ વતી સંસ્થાના અધ્યક્ષ રાજભા નારાણભા ગઢવી એ ગૌ હત્યા કરનારા ગેંગને ઝડપી પાડવા માંગ કરી છે. ગૌ વંશને શોધવામાં ભચાઉના અગ્રણી કુલદીપસિંહ વિરેન્દ્રસિંહ જાડેજા, રાધેશ્યામ ત્રિવેદી, મયુર ઠક્કર સહિત અન્ય ગૌ રક્ષકો મદદરૂપ બન્યા હતા.