વાંકાનેરના ચંદ્રપુરમાં વીજ દરોડા : બે મોટા કારખાનામાંથી ૮૭ લાખની વીજચોરી ઝડપાઇ
રાજકોટ,તા. ૨ : પીજીવીસીએલ દ્વારા સૌરાષ્ટ્ર કચ્છમાં છેલ્લા ઘણા સમયથી વીજ લોસ ઘટાડવાના ઉદેશથી સઘન વીજ ચેકીંગ કરવામાં આવી રહ્યુ છે. પીજીવીસીએલ મોરબી વર્તુળ કચેરી હેઠળના વાંકાનેર તાલુકાના ચંદ્રપુર ગામે આવેલ બે ઔદ્યોગિક એકમોમાં ગેરરિતી થતી હોવાની બાતમીના આધારે અધિક્ષક ઈજનેર પીજીવીસીએલ વર્તુળ કચેરી ના માર્ગદર્શન હેઠળ જીયુવીએનએલ તથા પીજીવીસીએલની ટીમો દ્વારા મે. તાસ્કીન એન્ટરપ્રાઈઝ ૧૦૦ કિલોવોટ તથા મે. રાજા કેટલફીડ ના ૧૦૦ કિલોવોટ વીજભાર ધરાવતા ઔધોગિક એકમોના વીજ જોડાણ ચકાસતા મીટર પેટી પર લાગેલ પ્લાસ્ટીક સીલ શંકાસ્પદ જણાયેલ.
આથી બન્ને વીજ જોડાણોના મીટર વધુ લેબ પરિક્ષણ અર્થે કબજે લીધેલ હતા. ત્યારબાદ તા. ૩૦.૦૬.૨૦૨૨ ના રોજ લેબ પરિક્ષણ કરતાં મીટરના વાયરીંગ સાથે ચેડા કરેલ હોવાનું માલુમ પડેલ હતું આથી ઈલેક્ટ્રીસીટી એક્ટ-૧૩૫ ની કલમ મુજબ મે. તાસ્કીન એન્ટરપ્રાઈઝ ને ૪૫.૧૭ લાખ તથા મે. રાજા કેટલફીડ ને ૪૧.૭૯ લાખ એમ કુલ મળી ૮૭ લાખ નો દંડ પીજીવીસીએલ દ્વારા ફટકારવામાં આવેલ છે.