પોરબંદરના લોકમેળામાં ફાળવેલુ પાર્ટી પ્લોટનું ગ્રાઉન્ડ રદ કરાતા નગરપાલિકા સામે કોર્ટમાં દાવો
હરરાજી વિના ગ્રાઉન્ડ બારોબાર ફાળવી દીધાના પર્દાફાશ બાદ નગરપાલિકાએ ચકડોળ ફિટ કરવાની કામગીરી ટાણે ગ્રાઉન્ડ પરત લીધુ
(હેમેન્દ્રકુમાર પારેખ, પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા. ર :.. જન્માટષ્મી લોકમેળા માટે ચોપાટી ખાતે પાર્ટી પ્લોટનું ગ્રાઉન્ડ પાલિકાએ હરરાજી વિના બારોબાર ભોપાલની પાર્ટીને ફાળવી દીધાનો પર્દાફાશ થતાં પાલિકાના અધિકારી છેલ્લી ઘડીએ દોડીને ચકડોળ ફીટ કરાવાની કામગીરી પાર્ટી દ્વારા ચાલી રહી હતી તે સમયે પાલિકાએ ફાળવેલું ગ્રાઉન્ડ રદ કરી નાખતા સંબંધિત પાર્ટીએ પાલિકા સામે કોર્ટમાં દાવો દાખલ કર્યો છે.
નગરપાલિકાએ જન્માષ્ટમી મેળા માટે ચોપાટી પાર્ટી પ્લોટનું મેદાન તા. ર૮ જૂલાઇએ પાંચ લાખ બાણું હજારમાં ભોપાલની પાર્ટીને વગર હરરાજીએ ફાળવી દીધાના પર્દાફાશ બાદ આ ગ્રાઉન્ડ જાહેર હરરાજીથી આપવા પાલિકાને ફરજ પડતા પાર્ટી પ્લોટમાં ચકડોળ ફીટ કરવાની કાર્યવાહી વખતે પાલિકાએ આ પાર્ટીને ફાળવેલ જગ્યા રદ કરતા પાલિકા સામે ભોપાલની પાર્ટીએ કોર્ટમાં દાવો દાખલ કર્યો છે. આ સંબંધે પોલીસ ફરીયાદ કરવા સહિત હાઇકોર્ટ સુધી લડતની ચીમકી મુળ ભોપાલના અને હાલ પોરબંદરના રાજૂભાઇ ઓમકારનાથ શર્માએ આપી છે. લોકમેળામાં ફાળવેલુ ગ્રાઉન્ડ મેળાના છેલ્લા દિવસોમાં રદ કરવા સામે કલેકટરને રજૂઆત કરાઇ છે.