ગોંડલ સબ જેલ પ્રકરણમાં બહારથી આવેલા શખ્સોની શોધખોળ : અન્ય કર્મચારીઓ ઉપર પણ તવાઇના એંધાણ
ગોંડલ તા.૨ : કેદીઓને સવલતનાં મુદ્દે ચર્ચાસ્પદ બનેલી ગોંડલની સબજેલમાં મોબાઈલ, ડોંગલ અને રોકડ રકમ જડતી સ્કોડને મળી આવ્યાની ઘટનાંનાં ઘેરાં પ્રત્યાઘાત પડયા છે. જેલ તંત્ર દ્વારા જેલર ડી.કે.પરમારની રાતોરાત નર્મદા જીલ્લાનાં રાજપીપળા ખાતે બદલી કરી નંખાઇ છે. અને મળી આવેલ મોબાઈલ, રોકડ ઉપરાંત કયાં કેદીને જેલ દ્વારા કેવી સુવિધાઓ મળતી હતી તે સહીતની તપાસ સીટી પીએસઆઇ ઝાલા દ્વારા તપાસ હાથ ધરાઇ છે. જેલનાં અન્ય કેટલાંક કર્મચારીઓ પર પણ તવાઇ આવનાર હોવાનું સુત્રો દ્વારા જાણવા મળેલ હતું.
સબજેલની ઘટનાં અંગે ડીવાયએસપી પ્રતિપાલસિંહ ઝાલા તથાં પીઆઇ સંજયસિંહ જાડેજા દ્વારા સીટી પોલીસમથકમાં પત્રકાર પરિષદ યોજાઇ હતી જેમાં જણાવાયું હતું કે મંગળવારની રાત્રે દશ કલાકે સબજેલમાં અધિક પોલીસ મહાનિર્દેશક અને સુધારાત્મક વહીવટ કચેરી અમદાવાદની જડતી સ્કોડ દ્વારા ચેકીંગ હાથ ધરાતાં જેલનાં આરોપી રાજેન્દ્ર ઉર્ફે રાજુભાઈ સેખવા, દિવ્યરાજસિંહ જાડેજા, જયેશભાઈ ગોહીલ, નિખિલ દોંગા, અમિતભાઇ પડારીયા વિડીયો કોન્ફરન્સની રૂમમાં બેઠાં મળી આવ્યાં હતાં. જેમાં રાજુ શેખવા પાસેથી બે મોબાઈલ તથાં જીઓ કંપનીનું ડોંગલ મળી આવ્યું હતું. જેલની અંદર નિખીલ દોંગા, અમીત પડારીયા તથાં અનધિકૃત રીતે જેલમાં આવેલાં જયેશ દવે, જીતેન્દ્ર વનરાજભાઇ, અજય બોરીચા, નિકુલ દોંગા, જીજ્ઞેશ ભુવા તથા કલ્પેશ ઠુંમર ચેકીંગ વેળા ગોળ કુંડાળું વળી જમવાં બેઠેલ હતાં તેમાંજડતી સ્કોડને જોઈ નાશભાગ મચી જવાં પામી હતી.સ્કોડ ને તેની આજુબાજુની જગ્યામાંથી ત્રણ મોબાઈલ, ચાર્જર, આધારકાર્ડ, ચુંટણી કાર્ડ એટીએમ કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ તથાં હથીયાર લાઇસન્સની કોપી ઉપરાંત પાકીટમાંથી રોકડ રૂ. પંદર હજાર બસ્સો મળી આવ્યાં હતાં.
કોરોનાને કારણે હાલ જેલ મુલાકાત બંધ હોવાં છતાં અને સાંજે સાત વાગ્યે મુખ્ય ગેઇટ બંધ કરી દેવાયો હોવાં છતાં જેલનાં ગેઇટ અમલદાર લાખાભાઈ કોડીયાતરે છ વ્યકિતઓને અનધિકૃત જેલમાં પ્રવેશ આપી જડતી સ્કોડનાં ચેકીંગ વેળા બહાર મોકલી આપ્યાં સહીતની વિગતે જડતી સ્કોડનાં જેલર દેવશીભાઇ કરંગીયાએ સીટી પોલીસમાં ફરીયાદ કરતાં પીએસઆઇ બી.એલ.ઝાલાએ તપાસ હાથ ધરી નિકુલ તુલસીભાઇ દોંગાની અટક કરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ જડતી સ્કોડનાં ચેકીંગ વેળા જેલનો ગેઇટ બંધ કરી દેવાયો હતો પરંતું બહારથી આવેલી છ વ્યકિતઓને હવાલદારે ગેઇટ ખોલી ભગાડી દિધી હતી.
તપાસનિશ પીએસઆઇ બી એલ ઝાલા એ જેલ સતાધીસો પાસેથી આરોપીઓની વિગતો માંગી બહારથી આવેલાં વ્યકિતઓની શોધખોળ શરૂ કરી છે.