CNG પંપ સંચાલકોની હડતાલ પાછી ખેંચાતા વાહન માલીકોમાં હાશકારોઃ ગઇકાલે CNG ભરાવવા લાંબી લાઇનો લાગી
ર૦મી માર્ચ સુધીમાં માર્જીન આપી દેવાની લેખીત ખાત્રી અપાતા હડતાલ પાછી ખેંચાઇઃ ધીમંતભાઇ ઘેલાણી...
રાજકોટ તા. ૩ : ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલીયમ ડીલર્સ એસો. ના અગ્રણી ધીમંતભાઇ ઘેલાણીએ ‘અકિલા' ને જણાવ્યું હતું કે, અમારા ફેડરેશન દ્વારા તા. ૩-૩-ર૦ર૩ ને શુક્રવારથી સીએનજીનું વેંચાણ બંધ કરવાનું એલાન આપેલ કારણ કે છેલ્લા ૪ વર્ષથી અમારા ડીલર માર્જીનમાં કોઇ વધારો થયો ન હતો. અમારા આ એલાનને કારણે ગઇકાલે ગાંધીનગર ખાતે સીવીલ સપ્લાય ડીપાર્ટમેન્ટની હાજરીમાં ત્રણેય ઓઇલ કંપનીના ઓફીસર સમગ્ર ગેસ કંપનીના ઓફીસર તથા અમારા ફેડરેશનના તમામ કમીટી સભ્યોની હાજરીમાં મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. અને આઇઓસી કંપનીના એસએલસી એ અમને લેખીત પત્ર આપ્યો છે કે તમારૂ ડીલર માર્જીન અમે ર૦મી માર્ચ સુધીમાં તમને આપી દઇશું. તો અમારી જે માંગણી ૪ વર્ષ જૂની હતી. જે અમને લેખીતમાં બાંહેધરી આપી દીધી છે કે ર૦ તારીખ સુધીમાં અમે તમને આપી દઇશું જેથી અમારા પ્રશ્નનું નિરાકરણ થઇ ગયું છે. માટે અમે જે એલાન આપ્યું હતું તે પાછું ખેંચીએ છીએ.
જો કે હડતાલ ગઇકાલે બપોરે પાછી ખેંચાઇ તે પહેલા રાજકોટના તમામ સીએનજી પંપ ખાતે સીએનજી ભરાવવા રીક્ષા - મારૂતિવાન-ઇકો-અને અન્ય તમામ પ્રાયવેટ ગાડીઓ લાંબી લાંબી લાઇનો લાગી હતી, એક કલાર્ક સીએનજી ભરાવવામાં વારો આવ્યો હતો, શહેરના પપ માંથી મોટાભાગના પંપ ડીલરો ખાતે લાઇનો જોવા મળી હતી. પરંતુ હડતાલ પાછી ખેંચાતા વાહન માલીકોને હાશકારો થયો છે.