સરકાર દ્વારા યોજવામાં આવતા આયુષમેળાઓ થકી લોકોમાં આયુર્વેદિક સારવાર અંગે જાગળતતા ફેલાઈ
આયુષમેળામાં આપવામાં આવતી આયુર્વેદિક દવાઓનો હું ઉપયોગ કરૂ છું અને તેની કોઈ આડઅસર નથી : આયુષકીટના લાભાર્થી હિરલબેન
(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર,તા.૩ : ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, આયુષ કચેરી દ્વારા વિવિધ જિલ્લામાં આયુર્વેદિક અધિકારીશ્રીની કચેરીના સંકલન સાથે આયુષ મેળાનું આયોજન કરવામાં આવે છે. જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના વાંકિયા ગામે તાજેતરમાં આયુષ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બહોળી સંખ્યામાં જરૂરિયાતમંદ લોકો ઉપસ્થિત રહ્યા હતા.
વાંકિયા ગામે યોજાયેલા આયુષમેળામાં આયુષ કિટના લાભાર્થી હિરલબેન જણાવે છે કે ગામડાઓમાં આયુષમેળાનું આયોજન કરવામાં આવે છે જેના થકી લોકો આયુર્વેદિક પદ્ધતિથી સરવાર લેતા થયા છે. અને લોકોનું સ્વાસ્થ્ય સુધરે છે સાથે આયુર્વેદિક ઉપચારની કોઈ આડઅસર પણ થતી નથી. આયુર્વેદ ક્ષેત્રે લોકોમાં જાગળતતા આવે તે માટે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શન હેઠળ સરકાર અનેક પ્રયાસો કરીને આયુર્વેદ ઉપચારનો લોકો સુધી લાભ પહોંચે તે માટે કામગીરી કરે છે. નાનામાં નાના માણસને પણ આરોગ્યની સુવિધા મળી રહે તે માટે અનેક યોજનાઓ બહાર પાડવામાં આવી છે. સરકાર લોકોના આરોગ્યની ચિંતા કરે છે તે બદલ હું સરકારનો આભર વ્યક્ત કરું છું. આયુષ મેળામાં મને આયુષ કીટ આપવામાં આવી છે. તેમાં તાવ, શરદી, ઉધરસ જેવી બીમારીઓની દવા છે. આ દવાઓનો હું જરૂર પડે ત્યારે ઉપયોગ કરૂ છું અને લોકોને પણ કહેવા માંગુ છું કે આયુર્વેદ દવાનો ઉપયોગ કરવો જોઈએ . (૨૫.૨૪)
સંકલન : પારૂલ કાનગળ