કચ્છના માંડવીના બિદડા ગામના સરપંચ સહિત ૧૦ સભ્યો સસ્પેન્ડ
નાણાપંચની ગ્રાન્ટમાંથી ખેતીની જમીનમાં કામ કરાયું હોવાની, ગેરરીતિ અને ભ્રષ્ટાચારની ફરિયાદને પગલે ડીડીઓનો આદેશ, સામાન્ય સભાની બહાલી સાથે ટીડીઓ પાસેથી વર્ક ઓર્ડર લઈ કામ કરાયું હોવાનો સરપંચનો ખુલાસો
(વિનોદ ગાલા દ્વારા) (ભુજ) બિદડા ગ્રામ પંચાયતમાં નિયમ વિરુદ્ધ, ગેર વહીવટ અને ભ્રષ્ટાચાર સબંધી અમિત સંઘાર અને નવીન નાકરાણીએ ગામના સરપંચ અને સદસ્યો વિરૂદ્ધ ડીડીઓ સમક્ષ ફરિયાદ કરી હતી. જે સંદર્ભે ડીડીઓ ભવ્ય વર્માએ સરપંચ સુરેશ સંઘાર સહિત ૧૦ સભ્યોને સસ્પેન્ડ કરતો આદેશ આપ્યો છે. ફરિયાદમાં ખેતીની જમીનમાં સમાજવાડી બનાવાઈ હોવાનો અને નાણા ની ગેરરીતિનો આક્ષેપ કરાયો હતો. જે અંગે ડીડીઓ ભવ્ય વર્માએ ગુજરાત પંચાયતની અધિનિયમની કલમ ૫૭/૧ અન્વયે હોદા ઉપરથી દૂર કરવાનો હુકમ કર્યો હતો. અરજદારો વતી એડવોકેટ પૂપુલ સંઘાર દ્વારા દલીલ કરાઈ હતી. સરપંચ સુરેશ સંઘારે પોતાની સામેના ભ્રષ્ટાચાર તેમ જ ગેર વહીવટના આક્ષેપોને રદિયો આપ્યો હતો. તેમણે સામાન્ય સભાની બહાલી અને ટીડીઓ પાસેથી વર્ક ઓર્ડર લઈને કામ કરાયું હોવાનો ખુલાસો કર્યો હતો.