જૂનાગઢ જિ.માં લીલો દુષ્કાળ જાહેર કરી કિસાનોને સહાય ચુકવવા માંગ
જૂનાગઢ જિ.કોંગ્રેસ સમિતિના કાર્યાલય મંત્રીની લેખીત રજૂઆત
(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ તા.૩ : જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ સમિતિના સહકાર્યાલય મંત્રી પ્રતાપભાઇ ભરાડે રાજયના મુખ્યમંત્રી તેમજ કૃષિમંત્રીને એક પત્ર પાઠવી જૂનાગઢ જિલ્લામાં સતત વરસાદને કારણે ખેડૂતોના પાક નિષ્ફળ ગયા હોય તાકીદે જૂનાગઢ જિલ્લામાં લીલો દુષ્કાળ જાહેર કરવા માંગણી કરી છે.
સતત વરસાદના કારણે જીલ્લાના નાના, ગરીબ, મજુર માણસથી લઇને ખેડૂતો, નાના વેપારીઓને નુકશાન થયુ છે જેમાં સૌથી વધારે ખેડૂતોની પરિસ્થિતિ કફોડી થઇ ગઇ છે. જીલ્લાના રાજયમાર્ગ, ધોરીમાર્ગ, ગ્રામ્ય માર્ગ અને ખેડૂતોની વાડીએ જવાના રસ્તાઓ સાવ ધોવાય ગયા છે. જીલ્લામાં પડેલ સતત વરસાદે સાર્વત્રિક નુકશાન કર્યુ છે ત્યારે જૂનાગઢ જીલ્લાને લીલો દુષ્કાળગ્રસ્ત જાહેર કરેલ અને જૂનાગઢ જીલ્લા માટે રાજય અને કેન્દ્ર સરકારની એસડીઆરએફ અને એનડીઆરએફની જોગવાયો રાજય સરકારની મુખ્યમંત્રી કિસાન સહાય યોજના સાથે સાથે જીલ્લામાં વરસાદે જે રીતે સાર્વત્રિક નુકશાન કર્યુ છે તે જોતા આ યોજનાઓ પુરતી નથી તેનાથી ઉપરવટ જઇને જૂનાગઢ જીલ્લા માટે સ્પેશિયલ પેકેજ આપવા અંતમાં જણાવેલ છે.