અમરેલી જીલ્લામાં કોરોનાનો હાહાકાર યથાવત : ૨ દિવસમાં ૪ દર્દીના મોત
(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી,તા. ૩: અમરેલીમાં સરકારી તંત્ર દ્વારા કોરોનાને કાબુમાં રાખવા માટે ધનીષ્ઠા પગલાઓ છતાં પણ કોરોનાનો હાહાકાર યથાવત છે. છેલ્લા ૨ દિવસમાં ચાર દર્દીઓના મૃત્યું થયા છે. અને બુધવારે કોરોનાનાં ૨૬ કેસ સામે આવ્યા છે. જેમાં ૧૧ કેસ તો માત્ર અમરેલી શહેરનાં જ છે. મંગળવારે બાબરાના ધરાઇ ગામના ૭૨ વર્ષના તા. ૨૮ મી પોઝિટિવ આવેલા પુરૂષ દર્દીઓનું મૃત્યું નીપજ્યું હતું. જ્યારે આજે બુધવારે રાજુલાના મોચી ચોક વિસ્તારમાં રહેતા ૫૫ વર્ષના પોઝીટીવ આવેલા મહિલા દર્દી તથા લીલીયાનાં ૮૪ વર્ષના પોઝીટીવ આવેલ વૃધ્ધ અને ગારીયાધારનાં ૮૫ વર્ષના મહિલા દર્દીનું મૃત્યું નીપજ્યું હતું. આ દર્દીઓના મૃત્યું કોરોનાથી છે કે બીજી બિમારીથી તે ઓડીટ કમીટીમાં નકકી થશે. અમરેલી શહેરમાં જીવાપરા, મેડીકલ કોલેજ સ્ટાફ કવાર્ટર, બાયપાસે રઘુવંશી સોસાયટી, બ્રાહ્મણ સોાસયટી, અમૃતનગર, મનસીટીમાં ૨ કેસ, સુખનાથપરા, અમૃતનગર અને જશોદાનગરમાં મળી ૧૧ કેસ સામે આવ્યા છે. જ્યારે ધારીની શિવનગર સોસાયટી, અમરેલીના કેરાળા, મોટા આંકડીયા, બગસરા, ટીંબી, અરજણસુખ, દેવગામ, નવા ઉજળામાં ૨ કેસ, દામનગર, કુબડા, વાવડી, જાફરાબાદ, ડુંગર, અને સાવરકુંડલાના શિવાજીનગરમાં પોઝીટીવ કેસ આવ્યા હતા. તથા નવા ગામ, બાબરા, ખારા અને બગસરા ગોકુલપરાના શંકાસ્પદ દર્દીઓ દાખલ થયા છે.