કચ્છમાં સતત શ્રેણીબંધ આવતા ભૂકંપના આંચકા ગમે ત્યારે મોટો ભૂકંપ આવવાની શકયતા તરફ દોરી જાય છે : નિષ્ણાંતોએ વ્યકત કરેલો મત
કચ્છમાં દુધઇ-દુદઇ-રાપાર-ભચાઉમાં ગઇકાલે ભૂંકપના આંચકા અનુભવાયા : ભૂકંપની તિવ્રતા વધુ હોવાથી કચ્છવાસીઓ ફફડી રહ્યા છે
કચ્છ : સૌરાષ્ટ્રના જુદા જુદા વિસ્તારો બાદ જામનગર પછી હવે છેલ્લે ગઇકાલે કચ્છમાં આવેલા ૪.૧ ની તીવ્રતાના ભૂકંપના આંચકાથી કચ્છવાસીઓમાં ફફડાટની લાગણી ફેલાઇ છે.
પ્રાપ્ત વિગત મુજબ ગઇ કાલે બપોર બાદ કચ્છમાં એક પછી એક પાંચ આંચકાઓ અનુભવાયા છે. જેમાં કચ્છના દુધઇ, દુદઇ, રાપર અને ભચાઉમાં આંચકાઓ અનુભવાયા હતાં. જેમાં તીવ્રતા અનુક્રમે 1.6, 2.5, 1.2 અને 1.9 રહી હતી. આમ, કચ્છમાં સતત એક બાદ એક ભૂકંપના આંચકાઓ આવી રહ્યાં છે.
રાત્રે 9.15 વાગ્યે 1.6 તીવ્રતાનો આંચકો ભચાઉથી 9 કિમી દૂર
રાત્રે 11.07 વાગ્યે 2.5 તીવ્રતાનો આંચકો રાપરથી 18 કિમી દૂર
વહેલી સવારે 2.53 કલાકે 1.2 તીવ્રતાનો આંચકો દુધઈથી 17 કિમી દૂર
સવારે 5.21 વાગ્યે 1.9 તીવ્રતાનો આંચકો દુધઈ 18 કિમી દૂર
આમ, ચારમાંથી બે આંચકા દુધઈ વિસ્તારની આસપાસ આવ્યાં છે.
ભૂસ્તરશાસ્ત્રીઓએ કચ્છ મેઇન ફોલ્ટ લાઇન પર કરેલા અભ્યાસ બાદ એક તારણ બહાર આવ્યું છે. આ ફોલ્ટ લાઇન પર છેલ્લાં એક હજાર વર્ષથી કોઇ મોટો ભૂકંપ આવ્યો ન હોવાંથી જમીની ઊર્જામાં વધારો થઇ રહ્યો છે. જે ગમે ત્યારે રિલીઝ થતાં મોટો ભૂકંપ આવવાની શક્યતા છે. જેમાં કચ્છનાં અંજાર અને ગાંધીધામ સાથે અમદાવાદમાં પણ ભયંકર નુકસાન થવાની શક્યતા છે. ફોલ્ટ લાઈન જમીનનાં પેટાળમાં લખપતથી લઈને ભચાઉ સુધી 180 કિ.મી જેટલી લાંબી ફોલ્ટ લાઇન આવેલી છે.
કચ્છ યુનિવર્સિટીનાં ‘અર્થ એન્ડ એન્વાયરમેન્ટ’ સાયન્સ વિભાગનાં હેડ પ્રોફેસર ડૉ. એમ.જી. ઠક્કરે જણાવ્યું હતું કે, “ઇતિહાસમાં નોંધાયેલા ભૂકંપ વિશે માહિતી મળી શકે છે. પરંતુ પ્રાચીન સમયમાં આવેલા ભૂકંપ વિશે કોઇ જ માહિતી નથી હોતી. કચ્છ મેઇન ફોલ્ટ લાઇન પર પણ આ જ પ્રકારે પ્રાચીન સમયમાં આવેલા ભૂકંપ વિશે જાણવા અંગે સંશોધન થયું હતું. જેમાં આ તથ્યો બહાર આવ્યાં છે.
એક હજાર વર્ષથી કચ્છ મેઇન ફોલ્ટ લાઇન પર કોઇ જ મોટો ભૂકંપ નથી આવ્યો. જેનાં પગલે આ ફોલ્ટ લાઇનનાં કારણે ગમે ત્યારે ભૂકંપ આવી શકે છે. જો કે આ ભૂકંપ ખૂબ જ ખતરનાક હશે. કચ્છમાં અંજાર અને ગાંધીધામ આ ફોલ્ટ લાઇનનાં કિનારે હોવાથી ત્યાં નુકસાન વધુ થવાનો ખતરો છે. સાથે અમદાવાદમાં પણ તેનાથી વધારે નુકસાન થઇ શકે છે.