ધ્રાંગધ્રા જુથ અથડામણમાં ૧૯ આરોપીના બેદિ' રીમાન્ડ
વઢવાણ, તા.૩: ધ્રાંગધ્રા શહેરમાં બે દિવસ પહેલા દલીત અને મિયાણા સમાજનાં બે જુથ વચ્ચે ઘાતક હથિયારો સાથે જુથ અથડામણ થતા પરિસ્થિતી કાબુમાં લેવા ગયેલી પોલીસ ઉપર પથ્થરમારો થતા ત્રણ પોલીસકર્મચારીઓને ઈજાઓ થઈ હતી. અંદાજે ૨૦૦ જેટલા શખ્સોને વિખેરવા પોલીસને ૧૫થી વધુ ટીયરગેસનાં સેલ છોડવાનીફરજ પડી હતી.
પોલીસે બન્ને જુથનાં ૨૦૦થી વધુ શખ્સો વિરૂદ્ધફરીયાદ નોંધી તપાસ શરૂ કરી હતી જેમાં બન્ને જુથનાં ૧૯ શખ્સો પોલીસ સમક્ષ હાજર થતા ચુસ્ત બંદોબસ્ત વચ્ચે કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતા. કોર્ટે આ ૧૯ આરોપીઓનાં બે દિવસનાં રીમાન્ડ મંજુર કરતા પોલીસે પુછપરછ હાથ ધરી છે.
આ ઉપરાંત દલીત સમાજના અને મુસ્લિમ સમાજના ૨૦૦ શખ્સો પૈકી અન્ય શખ્સોની ઓળખ મેળવવા કવાયત હાથ ધરવામાં આવી છે.