સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 4th May 2021

સરકાર લોકોની પડખે, દર્દીઓને તમામ વ્યવસ્થા પૂરી પડાશે : રૂપાણી

વિજયભાઇ રૂપાણીની અધ્યક્ષતામાં જૂનાગઢ ખાતે કોરોનાની સ્થિતિ અંગે સમીક્ષાઃ સ્થિતિ નિયંત્રણ હેઠળ હોવાનો મિડીયા સાથેની વાતચીતમાં મુખ્યમંત્રીશ્રીનો દાવો

જૂનાગઢ શહેર જિલ્લાની કોરોના પરિસ્થિતીનો તાગ મેળવતા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી - રાજ્યકક્ષાની કોર કમિટીના સભ્યો : જુનાગઢઃ કોરોના મહામારી અંગે આજે જુનાગઢ અને જિલ્લાની પરિસ્થિતિનો તાગ મેળવવા માટે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને રાજય કક્ષાની કોર કમિટીના સભ્યોએ જૂનાગઢ કલેકટર કચેરી ખાતે ઉચ્ચસ્તરીય બેઠક યોજીને શહેર અને જિલ્લાની કોરોનાની પરિસ્થિતિનો તાગ મેળવીને સ્થાનિક વહીવટી તંત્રને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી.કોરોના પ્રભાવિત ગુજરાતના મોટા શહેરો અને જિલ્લાઓમાં કોરોનાની સ્થિતિ અને તેના ઝડપી નિયંત્રણ માટે મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષ સ્થાને કોર ગ્રુપે વિવિધ શહેરોની રૂબરૂ મુલાકાત લઈને સ્થળ ઉપર સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન અને નિર્ણયો કરવાનું નક્કી કરાયું છે, જેના ભાગરૂપે આજે જૂનાગઢ ખાતે શ્રી વિજયભાઈ રૂપાણી, જયંતી રવિ, કલેકટર શ્રી સૌરભ પારધી સહિતની ઉપસ્થિતિમાં ચર્ચા વિચારણા કરવામાં આવી હતી જે તસવીરમાં નજરે પડે છે. (અહેવાલઃ વિનુ જોશી, તસવીરઃ મુકેશ વાઘેલા જુનાગઢ)

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ તા. ૪ : સોરઠમાં કોવીડ દર્દીઓની સારવાર - સુવિધા અંગે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ જૂનાગઢ ખાતે તંત્રને સુચના આપી હતી અને કેટલાક મહત્વના સુચનો પણ કર્યા હતા.

કોરોનાની સ્થિતિ અને તેના નિયંત્રણ માટે કલેકટર કચેરી જૂનાગઢ ખાતે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઇ. જૂનાગઢ શહેર તેમજ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાના કેસ, ટેસ્ટિંગ, ટ્રેસિંગ, કોવિડ ડેડિકેટેડ હોસ્પિટલો, બેડની સંખ્યા, ઓકિસજનની સુવિધા, વેન્ટીલેટર, દવાઓ, સારવારની સુવિધા, આરોગ્ય સ્ટાફ સહિતની વિગતો મેળવીને કોરોના નિયંત્રણ અને જરૂરી વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવા વહીવટી તંત્રને માર્ગદર્શન કરીને સૂચનાઓ આપી હતી.

જૂનાગઢ સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. સિવિલ હોસ્પિટલ ખાતે દર્દીઓના સગા-સંબંધીઓ સાથે સંવાદ કરીને હોસ્પિટલમાં અપાતી આરોગ્ય સેવાઓની પ્રત્યક્ષ માહિતી મેળવી હતી અને દાખલ દર્દીઓ વિષે ખબર અંતર પૂછ્યાં હતા. સરકાર લોકોની પડખે ઉભી છે, દર્દીઓને તમામ પ્રકારની વ્યવસ્થાઓ પૂરી પાડવામાં આવશે.

સમગ્ર ગુજરાતમાં કોરોનાની બીજી લહેર વધુ ઘાતક બની રહી છે અને કોરોનાના દર્દીઓને સમયસર સારવાર, દવા વગેરે મળતી ન હોવાની ફરિયાદો ઉઠતા કોરોના પ્રભાવિત રાજ્યના મોટા શહેરો અને જિલ્લાઓમાં કોરોનાની સ્થિતિ અને તેના ઝડપી નિયંત્રણ માટે મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને કોર ગ્રુપે શહેરોની રૂબરૂ મુલાકાત લઇને સ્થળ પર સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન અને નિર્ણયો કરવાનું નક્કી કરાયું છે.

જેના ભાગરૂપે અગાઉ મોરબી, રાજકોટ, પાટણ, જામનગર, કચ્છ અને દાહોદ જિલ્લામાં બેઠક પૂર્ણ કર્યા બાદ આજે સવારે જૂનાગઢ કલેકટર કચેરી ખાતે મુખ્યમંત્રી શ્રી રૂપાણીએ ઉચ્ચસ્તરીય બેઠક યોજીને શહેર અને જિલ્લાની કોરોનાની પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.

આ બેઠકમાં ઉપસ્થિત અધિકારીઓને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સોરઠમાં કોવીડ દર્દીઓની સારવાર અને આરોગ્ય સુવિધા માટે જરૂરી સુચના આપી હતી.

આ બેઠકમાં કલેકટર ડો. સૌરભ પારઘીએ કોરોનાની સ્થિતિને લઇ લેવાયેલા પગલા અને સારવાર - સાધનો અંગેનો અહેવાલ રજુ કર્યો હતો જે અંગે મુખ્યમંત્રી શ્રી રૂપાણીએ સંતોષ વ્યકત કર્યો હતો.

આમ, છતાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ એક પણ કોરોના દર્દી સારવાર વગર રહી ન જાય અને તે માટે જરૂરી તમામ સાધન - સુવિધા ઉપલબ્ધ કરવા તાકિદ કરી હતી.

કોર ગ્રુપની આ બેઠકમાં મુખ્યમંત્રીશ્રી સાથે મુખ્ય સચિવ અનિલ મુકીમ, અગ્રસચિવ જયંતિ રવિ તેમજ કલેકટર ડો. સૌરભ પારઘી, ડીડીઓ પ્રવિણ ચૌધરી, ડો. સુશીલ કુમાર, મ્યુનિ. કમિશનર તુષાર સુમેરા તેમજ આરોગ્ય અધિકારીઓ વગેરે સહભાગી થયા હતા.

આ બેઠક બાદ મુખ્યમંત્રી શ્રી રૂપાણીએ મિડીયા સાથે વાતચીત કરી હતી અને કોરોનાની સ્થિતિ હાલ નિયંત્રણ હેઠળ હોવાનો દાવો કર્યો હતો.

તેઓએ જણાવેલ કે, રાજ્ય સરકાર કોવીડ દર્દીઓની સારવારને લઇ સઘન પગલા લઇ રહી છે અને તે માટે બેડ, ઇન્જેકશનો, દવા વગેરે પુરતા પ્રમાણમાં ઉપલબ્ધ કરવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું.

વિજયભાઇ રૂપાણીએ વધુમાં જણાવ્યું હતું કે, હજુ ૧૫ તારીખ સુધી કોરોનાના કેસ અંગે ધ્યાન રાખવું પડે તેવી સ્થિતિ હોવાનું સમિક્ષકો જણાવી રહ્યા છે. જેથી લોકોએ સાવચેત રહેવું જરૂરી છે. તેમ છતાં હવે કોરોના કેસ સ્થિર થયા છે અને ઘટવાનું શરૂ થયું છે. લોકોએ નિયમોનું પાલન કરવું જરૂરી છે અને કામ વગર ઘરની બહાર ન નિકળવું જોઇએ.

વિજયભાઇ રૂપાણીએ વધુમાં જણાવ્યું કે, કોરોના વેકસીન કામગીરી વધુ વેગવંતી કરવામાં આવશે. તેમજ કોરોનાના રિપોર્ટ લોકોને જલ્દી મળી જાય તે દિશામાં તંત્ર કામગીરી કરશે.

 જુનાગઢ પહોંચતાની સાથે જ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સિવીલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી.

જુનાગઢ જિલ્લાની કોરોનાની પરિસ્થિતિનો તાગ મેળવવા માટે મુખ્યમંત્રી શ્રી રૂપાણી રાજય કક્ષાની કોર કમીટીનાં સભ્યો સાથે સવારે જુનાગઢ આવી પહોંચ્યા હતા. તેઓએ અહિં પહોંચતાની સાથે જ સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી.

સિવીલ ખાતે મુખ્યમંત્રીશ્રીએ સિવીલ ખાતે ઉપલબ્ધ સુવિધાઓનું જાત નિરીક્ષણ કર્યું હતું તેમજ કોવીડ દર્દીઓનાં સગા-સંબંધીઓને મળ્યા હતા.

આ મુલાકાત દરમ્યાન મુખ્યમંત્રી શ્રી રૂપાણીની સાથે મુખ્ય સચિવ અનિલ મુકિમ, અગ્ર સચિવ જયંતિ રવિ, કલેકટર ડો. સૌરભ પારધી સહિતનાં વહીવટી તંત્રનાં અધિકારીઓ રહ્યા હતા. સિવીલ ખાતે ડો. સુશીલકુમાર ડો. લાખણોત્રા, ડો. સોલંકીએે કોવીડ દર્દીઓ માટે સારવાર સુવિધા માહિતી આપી હતી. મુખ્યમંત્રીશ્રીએ આ તકે દર્દીઓનું વેઇટીંગ ઝીરો થાય તે માટે બેડ સહિતની સુવિધા વધારવા સુચના આપી હતી.

(3:21 pm IST)