માળીયાના બગસરા ગામે બેફામ ખનિજચોરી: ગ્રામપંચાયત દ્વારા લેખિત ફરિયાદ
માળીયા (મી.) : માળિયા મીયાણા તાલુકાની મચ્છુ નદી હોય કે ગ્રામ્ય વિસ્તારો તંત્રની ઘોર બેદરકારીના કારણે ખનિજ માફીયાઓને બારેમાસ દિવાળી હોય તેમ છુટો દોર મળ્યો છે. માળિયા મીયાણા તાલુકાના બગસરા ગામે કોઈ રોકટોક વગર ગામની હદમાં ખનિજ માફીયાઓ ખુલ્લેઆમ ખનિજ ચોરી કરી રહ્યા છે. જે બાબતની ગામના સરપંચે કલેકટર, મામલતદાર, પીએસઆઇ, ખનિજ વિભાગ અધીકારીઓને લેખિત રજૂઆત કરવા છતાં તંત્ર જાણે ભરનિદ્રામાં હોય તેવો ઘાટ સર્જાયો હતો.
બગસરા ગામે ખનિજચોરી બાબતે તમામ અધિકારીઓને જાણ કરવા છતાંય હજી સુધી કોઈ તંત્ર દ્વારા ખનિજ ચોરી અટકાવવા પગલાં લીધા ન હોવાથી ખનિજ માફીયાઓને છુટો દોર મળી રહ્યો છે. આવી જ રીતે મચ્છુ નદી પર આવતા ગ્રામ્ય વિસ્તારોમાં પણ રેતી ચોરીની અનેક રજૂઆતો કરવામાં આવી હોય, ત્યાં પણ હજી ગ્રામ્ય વિસ્તારના લોકોની રજુઆતની દરકાર ન લેવાયાનું લોકમુખે ચર્ચાય રહ્યું છે