સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 4th August 2021

સુરેન્દ્રનગરમાં પાણીના ખાડામાં ડુબી જતા તરૂણનું મોત

બે બાળકો ન્હાવા પડયા'તા : એકનો બચાવ : વિશેષ મહેશભાઇ ચાવડાના મોતથી અરેરાટી

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ તા. ૪ : સુરેન્દ્રનગરનાં ધોળીધજા ડેમ નજીક વેલનાથ સોસાયટી પાસે આવેલ પાણીના ખાડામાં ડુબી જતા ૧૪ વર્ષના બાળકનું મૃત્યુ થયુ હતુ. જયારે બીજા બાળકનો બચાવ થયો હતો.

આ અંગેની વિગત એવી છે કે, શહેરની વેલનાથ સોસાયટી પાસે આવેલ હામપરવાળા મેલડી માતાના મંદિર પાછળ પાણીના ખાડામાં બે બાળકો ન્હાવા પડયા હતા જેમાંથી ધુ્રવ સંજયભાઈ અઘારા નામનો એક બાળક હેમખેમ બહાર નીકળી ગયો હતો.

જયારે વિશેષ મહેશભાઈ ચાવડા નામનો ૧૪ વર્ષનો બાળક પાણીમાં ગરકાવ થઈ ગયાની જાણ નગરપાલીકાના ફાયર વિભાગને થતા સુપ્રિટેન્ડેન્ટ છત્રપાલસિંહ ઝાલા, ફાયરની ટીમનાં રાહુલ ડોડીયા, ચિરાગ જોષી, વિજયસિંહ વિગેરેને લઈ ઘટના સ્થળે પહોંચ્યા હતા.

તરવૈયાઓએ શોધખોળના અંતે ૧૪ વર્ષનાં વિશેષની લાશ બહાર કાઢી હતી. આ બનાવથી વેલનાથ સોસાયટી અને આજુબાજુનાં વિસ્તારમાં શોક સાથે અરેરાટીની લાગણી ફેલાવા પામેલ છે.

(11:32 am IST)