સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 4th December 2020

મોરબીના નવલખી રોડ પર ચાલુ ટ્રકે કોલસા પડતા હોય પાછળ આવતી કારનો માંડ બચાવ

અકસ્માતનો ભોગ બનનાર સરપંચે જિલ્લા એસપી અને કલેકટરને કરી રજૂઆત

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા. ૪ : મોરબીના નવલખી રોડ પર કોલસાના પરિવહન કરતા વાહનોનો ત્રાસ અસહ્ય હદે વધી રહ્યો છે. પુરપાટ વેગે કોલસાના ટ્રકો દોડતા હોય ત્યારે આજે લક્ષ્મીવાસના સરપંચ કાર લઈને જતા હોય ત્યારે ચાલુ ટ્રકમાંથી કોલસા પડતા અકસ્માત સર્જાતા રહી ગયો હતો અને કારમાં નુકશાન થવા પામ્યું છે જે મામલે જીલ્લા એસપી અને કલેકટરને રજૂઆત કરી છે.

માળિયાના લક્ષ્મીવાસ ગામના સરપંચ જયદીપ સંઘાણીએ જીલ્લા કલેકટર અને એસપીને રજૂઆત કરી જણાવ્યું છે કે આજે તે પોતાની કારમાં મોરબી આવવા માટે નીકળ્યા હોય અને લુંટાવદર ગામ પાસે નવલખીથી કોલસા ભરેલ ટ્રક અતિશય સ્પીડમાં આવતી હોય જે ટ્રકમાંથી કોલસાના મોટા પથ્થરો ગાડી પર પડ્યા હતા જેથી ગાડીનો કાચ તૂટી ગયો છે તેમજ કોલસા પડતા કાર ડીવાઈડર સાથે અથડાઈ હતી જે અકસ્માતમાં કારચાલક સરપંચનો બચાવ થયો હતો.

જોકે નવલખી રોડ પર કોલસા ભરેલા ટ્રકનો આવો ત્રાસ કાયમી જોવા મળે છે અને અકસ્માતમાં કોઈનો જીવ જાય તો જવાબદારી કોની તેમ જણાવીને રોડ પર ચાલતા તમામ ઓવરલોડીંગ ટ્રકો અને ઓવર સ્પીડમાં જતા ટ્રકો સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે.

(10:27 am IST)