ટિકિટ ફાળવણી મુદ્દે જામનગર ભાજપમાં ભારે અસંતોષ
ગઇકાલે કરશનભાઇ કરમુરે રાજીનામુ આપ્યા બાદ હવે ડાડુભાઇ ભારવાડિયા અને જ્યોતિબેન ભારવાડિયાએ રાજીનામા ધરી દીધા
(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર,તા. ૫: જામનગર કોર્પોરેશનમાં ભાજપના ઉમેદવારોના નામની જાહેરાત બાદ ટિકિટ ફાળવણી મુદ્દે ભાજપમાં અસંતોષ થતા ભાજપમાં ભડકો થયો છે.
ગઇ કાલે કરશનભાઇ કરમુરે રાજીનામુ આપ્યા બાદ લીગલ સેલના એડવાઇઝર ડાડુભાઇ ભારવાડિયા અને પૂર્વ કોર્પોરેટર તથા હાલ જામનગર શહેર સંગઠનના ઉપપ્રમુખ જયોતિબેન ભારવાડિયાએ પાર્ટી સાથે અસંતોષ વ્યકત કરીને રાજીનામા ધરી દેતા સન્નાટો છવાઇ ગયો છે.
રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ભાજપ દ્વારા ઉમેદવારીની યાદી જાહેર થતા કેટલીક જગ્યાએ નારાજગીના સુર ઉઠ્યા છે. દરમિયાન જાણવા મળ્યા મુજબ જામનગર ભાજપના ભડકો થયો હતો. જામનગર આહીર સમાજના પ્રમુખ -પૂર્વ ડેપ્યુટી, મેયર પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન એવા ભાજપના દિગ્ગજ નેતા કરશનભાઇ કરમુરનું ભાજપમાંથી રાજીનામુ આપ્યુ છે.
ભાજપના સિનિયર નેતાના રાજીનામાથી આગામી દિવસોમાં નવા જુનીના એંધાણ વર્તાઇ રહ્યા છે.