કોરોનામાં જીવ ગુમાવતા દર્દીઓ અને સારવારની હાલાકી મુદ્દે હવે કચ્છ ચેમ્બરે તંત્ર અને રાજકીય પક્ષોને કન્ટ્રોલ રૂમ શરૂ કરવા કરી અપીલ
તબીબી સુવિધા નથી : અંતિમ સંસ્કારમાં લાંબી લાઇનો છે : પરિસ્થિતિ વિકરાળ બને તે પહેલા જાગવા અપીલ
(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૪ : કોરોનાની સારવાર બાબતે તબીબી અસુવિધાને મુદ્દે કચ્છમાં રાજયમંત્રી વાસણભાઈ આહીર અને કલેકટર તંત્રએ પત્રકાર પરિષદમાં કરેલ નવી નવી જાહેરાતો અને સબ સલામતના દાવાઓ વચ્ચે હવે કચ્છ ચેમ્બર દ્વારા તબીબી અસુવિધાઓ દૂર કરવા અપીલ કરી છે.
કચ્છ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ફેડ્રેશનના પ્રમુખ અનિલ ગોરે વહીવટી તંત્ર અને રાજકીય પક્ષોને કોરોના બાબતે કંટ્રોલ રૂમ શરૂ કરી લોકોને પડતી હાલાકી દૂર કરવા અપીલ કરી છે. અત્યારે કોરોનાના દર્દીઓને હોસ્પિટલમાં બેડ, ઈન્જેકશન, ઓકિસજન, વેન્ટિલેટર જેવી તબીબી વ્યવસ્થા અંગે થઈ રહેલી મુશ્કેલી દૂર કરવા અને આ બાબતે માર્ગદર્શન આપવા કન્ટ્રોલરૂમ શરૂ કરવામાં આવે છે.
તંત્ર ઉપરાંત રાજકીય પક્ષો પણ ચૂંટણીની જેમ મુશ્કેલીના આ સમયમાં લોકોને મદદરૂપ બને તે જરૂરી છે. અત્યારે લાશના અંતિમ સંસ્કાર માટે પણ લાઈનો છે.