સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 5th May 2021

જામનગરમાં વધુ ૬૦૦ બેડ ક્ષમતા-ઓકિસજન સપ્લાય સાથે કોવિડ હોસ્પિટલ કાર્યરત કરાશે

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જામનગર ખાતે રીલાયન્સ ફાઉન્ડેશન દ્વારા તૈયાર કરાયેલી ૪૦૦ ઓકિસજનની સુવિધાવાળા બેડની હોસ્પિટલનું ઇ-લોકાર્પણ કર્યુ઼ : જામનગર -દેવભૂમિ દ્વારકા -પોરબંદર સહિતના સૌરાષ્ટ્રના જિલ્લાના લોકો માટે કોરોના સંક્રમણ સારવારની મોટી સુવિધા મળશે

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર,તા. ૫:  મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ જામનગર ખાતે રીલાયન્સ ફાઉન્ડેશન દ્વારા તૈયાર કરાયેલી ૪૦૦ ઓકિસજનની સુવિધાવાળા બેડની હોસ્પિટલનું આજે ઈ-લોકાર્પણ ગાંધીનગરથી કર્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, કોરોનાની બીજી લહેર વધુ વિકરાળ સાબિત થઈ રહી છે તેવા સંજોગોમાં રાજય સરકાર સંક્રમણને રોકવા માટેના તમામ પગલાંઓ લઈ રહી છે.

રાજય સરકારે છેલ્લા દોઢ મહિનામાં બેડની સંખ્યામાં વધારો કરીને ૪૧,૦૦૦ થી ૧ લાખ બેડ તેમજ ૧૮૦૦૦ થી ૫૮૦૦૦ ઓકિસજન બેડ રાજયભરમાં ઉપલબ્ધ કરાવ્યા છે. રાજય સરકાર ગુજરાતની ૧૯૦૦ હોસ્પિટલના ૫૮,૦૦૦ બેડને સતત ૨૪ કલાક ઓકિસજન પૂરો પાડી રહી છે તેમ મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું.

શ્રી વિજયભાઈ રૂપાણીએ વધુમાં ઉમેર્યું કે, કોરોનાના કપરાકાળમાં રીલાયન્સ ફાઉન્ડેશન દ્વારા ૧૦૦૦ બેડની ક્ષમતા ધરાવતી હોસ્પિટલનું ઇન્ફ્રાસ્ટ્રકચર ઊભું કરવાનું આયોજન કર્યું છે તે સમગ્ર ગુજરાત માટે આનંદની વાત છે.

આગામી સમયમાં ૧૦૦૦ બેડની સંપૂર્ણ ક્ષમતાની ઓકિસજન સુવિધા સહિતની આ હોસ્પિટલ કાર્યરત થવાથી જામનગર તેમજ સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા, પોરબંદર વગેરે જિલ્લાઓના નાગરિકો-લોકો માટે કોરોના સંક્રમણ સારવારની મોટી સુવિધા ઘર આંગણે મળતી થશે.

ગુરૂ ગોવિંદસિંહ જી.જી. હોસ્પિટલની પ્રતિષ્ઠા ખૂબ સારી છે, ત્યાં આવનાર દરેક દર્દી સાજો થઈને ઘરે પરત ફરે છે, આ પ્રકારની પ્રતિષ્ઠા ઉભી કરનાર હોસ્પિટલના તમામ તબીબી સ્ટાફ અભિનંદનને પાત્ર છે તેમ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યુ હતું.

આ તકે સાંસદશ્રી પૂનમબેન માડમ જામનગર ખાતે ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે  રિલાયન્સનો આભાર વ્યકત કરતા જણાવ્યું હતું કે, રિલાયન્સ ફાઉંડેશન દ્વારા જામનગરવાસીઓને કોરોનાની સારવાર માટે ખૂબ મોટી વ્યવસ્થાઓનું નિર્માણ કરી આ કપરા સમયમાં પોતાનું પ્રશંસનીય યોગદાન આપ્યું છે.જામનગરવાસીઓ માટે આ સુવિધા આશીર્વાદરૂપ સાબિત થશે. 

આ પ્રસંગે અન્ન અને નાગરિક પુરવઠા રાજયમંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ગ્રુપ પ્રેસિડન્ટ શ્રી ધનરાજભાઈ નથવાણી, ધારાસભ્યશ્રી રાદ્યવજીભાઈ પટેલ, મેયરશ્રી બિનાબેન કોઠારી,  ડેપ્યુટી મેયરશ્રી તપન પરમાર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રી મનિષ કટારીયા, શહેર ભાજપ પ્રમુખશ્રી વિમલભાઇ કગથરા, કલેકટરશ્રી રવિશંકર, મહાનગરપાલિકા કમિશનરશ્રી સતિષ પટેલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડો. વિપીન ગર્ગ, શ્રી.એમ.પી.શાહ મેડીકલ કોલેજના ડીન શ્રીમતી નંદિની દેસાઈ, જી.જી. હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ ડો. દિપક તિવારી, સરકારી ડેન્ટલ કોલેજના ડીન ડો. નયના પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

(12:49 pm IST)