જસદણ તાલુકાના આંબરડી ગામમાં કોરોનાએ કાળો કેર મચાવ્યો : ૧૫ દિવસમાં ૪૯ના મોત
(ધર્મેશ કલ્યાણી દ્વારા) જસદણ, તા. ૫ : જસદણ તાલુકાના છેવાડાના આંબરડી ગામમાં કોરોનાએ કાળો કેર મચાવ્યો છે. છેલ્લા પંદર દિવસમાં અંદાજે ૪૯થી વધારે લોકોના મોત નિપજયા છે.
આ અંગેની વિગતો મુજબ જસદણ તાલુકાનું અંદાજે પાંચ હજારની વસ્તી ધરાવતું છેવાડાનું આંબરડી ગામ કોરોનાનાં આતંકથી ભયભીત છે. આંબરડી ગામમાં છેલ્લા પંદર દિવસ દરમિયાન ૪૯ થી વધારે લોકોના કોરોનાને કારણે મોત નીપજયા છે. ગઈકાલે મંગળવારે એક જ દિવસમાં નાનકડા આંબરડી ગામમાં પાંચ વ્યકિતના કોરોના થી મોત નિપજયા હતા.
આ ઉપરાંત આંબરડી ગામમાં અત્યારે ઘરે ઘરે તાવ, શરદી, ઉધરસ સહિતના વાઇરલ ઇન્ફેકશન સાથે માંદગીના ખાટલા છે. તેમજ અનેક લોકો કોરોના પોઝિટિવ હોવાથી હોમ કોરોન્ટાઇલ થયેલા છે. એક અંદાજ મુજબ આંબરડી ગામમાં ત્રણસોથી વધારે લોકો કોરોનાનાં લક્ષણો ધરાવે છે. કોરોના પોઝિટિવ આવેલા કેટલાક લોકો ઘરે સારવાર લઈ રહ્યા છે.
ગામ લોકો સતત ભયના માહોલમાં જીવી રહ્યા છે ત્યારે તંત્ર દ્વારા આંબરડી ગામની મુલાકાત લઈ સમીક્ષા કરી આરોગ્ય સુધારણા માટે પગલાં લેવામાં આવે તેમજ કોવિદ ટેસ્ટ માટેનો કેમ્પ રાખી સાચી તપાસ કરવામાં આવે તેવી લોક માંગણી છે.