૧પ સ્થળે રખડયા અંતે જુનાગઢ સિવિલ હોસ્પિટલે મારી દિકરીનો હાથ જાલ્યો : રીટાબેન કુબાવત
ફેફસામાં ૮૦% સંક્રમણ થતા વેન્ટિલેટર પર સારવાર લઇ સ્વસ્થ થતી ઉપલેટાની ૧૬ વર્ષની પ્રિન્સી
જુનાગઢ તા.પ, જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં માત્ર જુનાગઢ જિલ્લો જ નહીં પરંતુ આસપાસના જિલ્લામાંથી પણ કોરોનાના દર્દીઓ ગંભીર હાલતમાં આવે છે અને રાજ્ય સરકારના પ્રોટોકોલ મુજબની શ્રેષ્ઠ સારવાર મેળવીને સાજા થઇ સ્વગૃહે પરત ફરી રહ્યા છે.
મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ જૂનાગઢ સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. હોસ્પિટલના પટાંગણમાં દર્દીઓના સગા સંબંધીઓ માટે જુદી જુદી વ્યવસ્થાઓ છે. દર્દીઓના સગા સંબંધીઓની મુલાકાત લેતાં તેઓએ જૂનાગઢ સિવિલ હોસ્પિટલની સારવારની સરાહના કરી હતી.
ઉપલેટાના રીટાબેન કુબાવતએ જણાવ્યું હતું કે મારી બેનની દીકરી ૧૫-૧૬ વર્ષીય પ્રિન્સી ધોરણ ૧૧માં આવી છે. તેમને કોરોનાનું ગંભીર સંક્રમણ થઈ ગયું હતું. ૮૦્રુ ફેફસાંને અસર અને બીજા રિપોર્ટ પણ વધારે મુશ્કેલીભર્યા આવતા હતા. અમે ૧૫ ખાનગી હોસ્પિટલમાં તપાસ કરી પણ પરિણામ ન મળ્યું અંતે જૂનાગઢની સિવિલ હોસ્પિટલે હાથ જાલ્યો અને ડોકટરોએ હિંમત આપી. વેન્ટિલેટર પર પહોંચી ગયેલી પ્રિન્સી આજે ૮૦્રુ રિકવર થઈ ગઈ છે. બે ચાર દિવસમાં રજા પણ થઈ જશે તે અંગે સંતોષ વ્યકત કરી જણાવ્યું હતું કે સિવિલ હોસ્પિટલના તબીબો રાતદિવસ દર્દીઓ સાજા થાય તે માટે મહેનત કરે છે.
પોરબંદરમાં એકાઉન્ટનું કામ કરતા અનિલભાઈ સામાણીને કોરોના થતા તેમને વધુ સારવાર માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા .આઠ દિવસની સારવારના અંતે તેઓ પણ રિકવરી પર છે તેમ તેમના પત્ની માલાબેનએ જણાવી જૂનાગઢ સિવિલ હોસ્પિટલની સારી કામગીરી છે તેમ જણાવ્યું હતું. મેંદરડાના ગુંદાળા ગામ ના સરપંચ ગોપાલભાઈ એ પણ તેમના સગા સંબંધીની સારી સારવાર થયાનું જણાવ્યું હતું. પોરબંદરના ક્રિષ્નાબેનએ પણ તેમના પતિ દસ દિવસથી સારવાર હેઠળ છે અને તબીબો દ્વારા નીયમીત તપાસ કરવામાં આવે છે તેમ જણાવ્યું હતું.