હળવદ નજીક નર્મદા કેનાલમાં ગાબડું: ખેડૂતોના ખેતર નદીમાં ફેરવાયા
હળવદ તાલુકાના છેવાડાના ગામ નજીક ધ્રાંગધ્રાના જીવા ગામ પાસે ડી-૧૩ નંબરની કેનાલ તૂટી
(દીપક જાની દ્વારા) હળવદ, તા.૫: તાલુકાના છેવાડાના ઢવાણા ગામ નજીક અને ધ્રાંગધ્રા તાલુકાના જીવા ગામ પાસે નર્મદા કેનાલમાં ગાબડાં પડતા પાણીનો વિશાળ જથ્થો આજુબાજુના ખેડૂતોના ખેતરમાં ઘુસી જતા ખેડૂતોને વ્યાપક નુકશાની સહન કરવાનો વારો આવ્યો છે અને ખડૂતોએ મહામુસીબતે ઉગાડેલ આગોતરું વાવેતર કેનાલના પાણીમાં ગરક થઈ જતા ખેડૂતોની મહેનત ઉપર પાણી ફરી વળ્યું છે
પ્રાપ્ત વિગતો મુજબ ખરીફ સીઝનમાં આગોતરું વાવેતર કરનાર ખેડૂતો માટે હાલમાં નર્મદા કેનાલમાં વિશાળ જળરાશી છોડવામાં આવતાની સાથે જ ધ્રાંગધ્રા તાલુકાના છેવાડાના જીવા ગામ પાસે ખેડૂતના ખેતરમાંથી પસાર થતી નર્મદા ડી-૧૩ નંબરની કેનાલમાં ગાબડું પડતા હળવદના છેવાડાના વિસ્તારમાં આવતા ખેડૂતોની દશા દયનિય બની છે.
વધુમાં કેનાલમાં ગાબડું પડતા વિનોદભાઈ શીવાભાઈ દલવાડી, શામજીભાઈ નાગરભાઈ દલવાડી, નરસીભાઈ શામજીભાઈ, -વિણ ગોરધનભાઈ, ઘનશ્યામભાઈ શામજીભાઈ સહિતના ખેડુતોના ખેતરમાં પાણી ફરી વળતા આ ખેડૂતોએ મહામહેનતે ઉછેરેલ આગોતરા વાવેતર ઉપર પાણી ફરી વળ્યાં હતા અને ખેડૂતોના ખેતર નદી સમાન બની ગયા છે. નોંધનીય છે કે આ નર્મદાની ડી-૧૩ કેનાલમાંથી મોરબી બ્રાન્ચ કેનાલમાં પાણી આવતું હોય હાલમાં પડેલા ભંગાણને કારણે મોરબીના ખેડૂતો પાણીથી વંચિત રહેશે.
ઉલ્લેખનીય છે કે, નર્મદા કેનલની ડી-૧૩ નંબરની બ્રાન્ચ કેનાલનું સંચાલન હળવદથી થાય છે પરંતુ આશ્ચર્યની બાબત તો એ છે કે વિશાળ નર્મદા કેનાલમાં ગાબડું પડ્યું હોવા છતાં અધિકારીઓ ખેડૂતો કે અન્યોના ફોનના જવાબ આપતા ન હોય હાલમાં કરોડો ગેલન પાણી વેડફાઈ રહ્યું છે.અને ખેડૂતોના મહામુલા આગોતરા વાવેતરની પથારી ફરી ગઈ છે.