જૂનાગઢ શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિરમાં શ્રાવણ માસમાં અનેકવિધ ધાર્મિક આયોજન
(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ, તા. ૫ :. શહેરમાં આવેલ શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિરનું મહાત્મય દેશ-વિદેશમાં ખૂબ જ છે. આ મંદિરમાં બિરાજમાન શ્રી રાધારમણદેવ, શ્રી સિદ્ધેશ્વર મહાદેવના પૂણ્યપ્રતાપથી અનેક ભકતોની મનોકામના પૂર્ણ થાય છે. સ્વયં ભગવાન સ્વામિનારાયણે સ્વહસ્તે પધરાવેલ મહાપ્રતાપી શ્રી સિદ્ધેશ્વર મહાદેવ હાજરાહજુર બિરાજે છે. પવિત્ર શ્રાવણ માસમાં મહાદેવજીને પ્રસન્નતાર્થે અનેક ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં દરરોજ શ્રી સિદ્ધેશ્વર મહાદેવજીનો અભિષેક, રૂદ્રીપાઠ, ૧૧,૦૦૦ બિલ્વપત્રથી શિવ-પૂજન, હોમાત્મક લઘુરૂદ્ર, હિંડોળા દર્શન, કથા પારાયણ જેવા અનેક કાર્યક્રમોનો ધર્મલાભ ભાવિક ભકતોને મળશે. ભગવાન સિદ્ધેશ્વર મહાદેવની પ્રસન્નતા પ્રાપ્ત કરવાના આ પૂણ્યમાસમાં અનેક ધાર્મિક કાર્યક્રમોનું આયોજન વડતાલ પીઠાધિપતિ પ.પૂ.ધ.ધુ. ૧૦૦૮ આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજશ્રીના આશિર્વાદ અને મંદિરના ચેરમેન કો.સ્વા. દેવનંદનદાસજીની પ્રેરણાથી કરવામાં આવ્યું છે. મંદિરના મહંત શા. સ્વા. પ્રેમસ્વરૂપદાસજી (નવાગઢવાળા) અને સંતો-ભકતોના પ્રયાસથી સંપૂર્ણ શ્રાવણ માસ દરમ્યાન સરકારશ્રીના દિશા-નિર્દેશ અને સામાજીક અંતર જાળવીને આયોજન કરવામાં આવ્યુ છે તેમ કો. પી.પી. સ્વામીની યાદીમાં જણાવાયુ છે.