કચ્છના ભારાપર ગામે યુવાનની હત્યા કરી લાશ ઝાડ પર લટકાવી દેવાતા ચકચાર
(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૫
કચ્છના ભુજ તા.ના ભારાપર ગામ નજીક ઝાડ પર લટકાવેલી હાલતમાં મળી આવેલી લાશ એ ચકચાર સાથે ચર્ચા જગાવી છે. ભારાપર ગામેથી વડઝર ગામ તરફ જતાં રોડ ઉપર આવેલ દેવરિયા તળાવ પાસે વડ ઉપર દિનેશ પચાણભાઈ મહેશ્વરી નામના યુવાનની લાશ લટકેલી મળી આવી હતી. મૃતક ૨૮ વર્ષીય દિનેશ અપરિણીત હતો. તેનું માથામાં બોથડ પદાર્થ મારી કોઈએ ઢીમ ઢાળી દીધું હતું અને બાદમાં લાશ ઝાડ ઉપર લટકાવી દીધી હતી. તેના ભાઈ પરેશ એ ઝાડ ઉપરની લાશ ઉતરી ભુજની સરકારી હોસ્પિટલમાં ખસેડયો ત્યારે ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. આ બનાવને પગલે માનકુવા પોલીસ સ્ટેશનના પીઆઈ ડી.આર. ચૌધરી અને પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી. દરમ્યાન મૃતકના પરિવારજનોએ એકાદ મહિના પહેલા થયેલા બાળકો માટેના ઝઘડા બાબતે મનદુઃખ રાખી તેની હત્યા કરાઈ હોવાની આશંકા વ્યક્ત કરતાં પોલીસે એ દિશામાં પગેરું દાબ્યું છે.