ગાંધીધામ કાર્ગો ઝૂપડપટ્ટીમાં યુવાનની હત્યાથી ચકચાર
દુકાન પાસે ગાળો બોલનાર યુવાનને ઘેર મૂકી આવનાર ઉપર ઘાતકી હુમલો
(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૬ : સામાન્ય નાના મોટા મુદ્દે ખૂન અને હત્યા નીપજવવાના બનાવો સમાજમાં ચિંતાજનક રીતે વધી રહ્યા છે.
ગાંધીધામમાં કાર્ગો ઝૂપડપટ્ટી વિસ્તારમાં રામાપીર મંદિર પાસે આવેલ કોકિલાબેન પ્રવીણ સોમેશ્વરાની દુકાન નજીક ગાળો બોલી રહેલા શખ્સ રોહિત મારાજને નરેશ ઉર્ફે ચિપલી લક્ષ્મણ બારોટને તેને ઘેર મૂકી આવવાનું મહિલા દુકાનદાર કોકિલાબેને કહ્યું હતું. એટલે રોહિત મારાજને નરેશ ઉર્ફે ચીપલી તેના ઘેર મૂકી આવ્યો હતો. પરંતુ, ગુસ્સે ભરાયેલા રોહિત મારાજ નામના આરોપીએ પોતાને ઘેર મૂકી આવનાર નરેશ ઉર્ફે ચીપલી ઉપર છરી વડે હુમલો કરી અને પાછળથી પડખામાં છરીના ઘા માર્યા હતા.
જેને પગલે નરેશ, ચીપલીને ગંભીર ઈજાઓ થઈ હતી. ઈજાગ્રસ્ત નરેશને દુકાનદાર કોકિલાબેન સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા પણ તેને સતત દુઃખાવો રહેતાં ફરી બીજી વાર હોસ્પિટલ લઈ જવાયો હતો. છતાંયે બરાબર ન થતાં ફરી હોસ્પિટલમાં દાખલ કરાતાં તેનું ગંભીર ઈજાઓ થકી મોત નિપજયું હતું. જેને પગલે હુમલાના પ્રયાસ નો બનાવ હત્યામાં ફેરવાતાં પોલીસે આરોપી રોહિત મારાજ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.