સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 6th July 2022

જસદણના જલારામ મંદિરે કાલથી ભાગવત કથાનો પ્રારંભ થશે

તા. ૧૩ના રોજ પૂ. ગુરૂદેવ શ્રી હરીરામબાપા ચરણારવિંદની પ્રતિષ્‍ઠા તેમજ ગુરૂપૂજનનું આયોજન : કથાનો તેમજ ગુરૂપુજનનો લાભ લેવા શ્રી હરી પરિવાર દ્વારા આમંત્રણ

(વિજય વસાણી દ્વારા) આટકોટ તા. ૬ : જસદણ પટેલ સ્‍ટ્રીટ ખાતે આવેલ શ્રી જલારામ મંદિરે શ્રીમદ્‌ ભાગવત કથા અને ગુરૂપૂર્ણિમા મહોત્‍સવનું ભવ્‍ય આયોજન કરવામાં આવ્‍યું છે. કથાનો પ્રારંભ કાલથી થશે. જ્‍યારે ગુરૂપૂર્ણિમા મહોત્‍સવ આગામી તા. ૧૩ના રોજ ઉજવવામાં આવશે. કથાના વ્‍યાસાસને ઇશ્વરચંદ્ર વ્‍યાસ જુનાગઢવાળા બીરાજશે.

શ્રી જલારામ સત્‍સંગ મંડળ જસદણ દ્વારા આયોજીત કથા પૂજ્‍ય શ્રી હરીરામબાપા દ્વારા નિર્મિત જલારામ મંદિર ખાતે કાલથી પ્રારંભ થશે.

કાલ સવારે ૯ વાગ્‍યે છત્રીબજાર ખાતે આવેલ શ્રી ગોવર્ધનનાથજીની હવેલીથી પોથીયાત્રાનો પ્રારંભ થશે. તા. ૧૦ના રોજ સાંજે ૬.૩૦ કલાકે નૃસિંહ પ્રાગટય, તા. ૧૦ના સવારે ૧૦ કલાકે શ્રી વામન પ્રાગટય, બપોરે ૧૧.૩૦ કલાકે શ્રી રામચંદ્ર પ્રાગટય અને સાંજે ૬.૩૦ કલાકે શ્રી કૃષ્‍ણ જન્‍મોત્‍સવની ઉજવણી થશે. તા. ૧૧ના રોજ સાંજે ૬.૩૦ કલાકે શ્રી ગોવર્ધન પુજા, તા. ૧૨ના સાંજે ૫.૩૦ કલાકે શ્રી રૂક્ષ્મણી વિવાહના પ્રસંગો ધામધૂમથી ઉજવવામાં આવશે. તા. ૧૩ના રોજ બપોરે ૧૨.૩૦ કલાકે કથા વિરામ થશે.

કથા દરમિયાન તા. ૧૩ના રોજ પુ. ગુરૂદેવ શ્રી હરીરામબાપાના નવનિર્મિત મંદિરે શ્રી સદ્‌ગુરૂ ચરણાવિંદનો પ્રતિષ્‍ઠા મહોત્‍સવ અને ગુરૂપૂજન સવારે ૮ કલાકથી પ્રારંભ થશે.

કથાનો સમય સવારે ૯ થી ૧૨ તેમજ બપોરે ૩.૩૦ થી ૬.૩૦નો રાખવામાં આવ્‍યો છે. કથા દરમિયાન દરરોજ બપોરે અને સાંજે મહાપ્રસાદની વ્‍યવસ્‍થા પણ આયોજકો દ્વારા રાખવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, જસદણ પટેલ સ્‍ટ્રીટ ખાતે આવેલ શ્રી જલારામ મંદિરની સ્‍થાપના પૂજય ગુરૂદેવ શ્રી હરીરામ બાપા દ્વારા કરવામાં આવી હતી. આ મંદિર ખાતે છેલ્લા ૪૧ વર્ષથી ‘હરે રામ હરે કૃષ્‍ણ'ની અખંડ ધૂન તેમજ અન્‍નક્ષેત્ર ચાલે છે.

પૂ. ગુરૂદેવ શ્રી હરીરામબાપા હાલ દેહ રૂપે નથી પરંતુ હરી પરિવાર દ્વારા પૂ. હરીબાપાનો પ્રાગટય દિન શ્રી ઘેલા સોમનાથ ખાતે શ્રાવણ મહિનામાં ઉજવવામાં આવે છે જ્‍યારે ગુરૂપૂર્ણિમા મહોત્‍સવ જસદણ અને પુણ્‍યતીથી નાગપુરના લક્કડગંજ ખાતે ઉજવવામાં આવે છે.

શ્રીમદ્‌ ભાગવત કથા અને ગુરૂપૂર્ણિમા મહોત્‍સવનો લાભ લેવા શ્રી જલારામ સત્‍સંગ મંડળ જસદણ અને શ્રી હરી પરિવારે યાદીમાં જણાવ્‍યું છે.

કથા દરમિયાન રોજ સુંદરકાંડ, હનુમાન ચાલીસા, રામાયણના પાઠ સહિત જુદા જુદા ધાર્મિક કાર્યક્રમો યોજાશે.

(11:21 am IST)