કાલે દાઉદી વ્હોરા સમાજ આશુરા મનાવશે
(હુસામુદ્દીન કપાસી દ્વારા) જસદણ, તા. ૬ : સમગ્ર દાઉદી વ્હોરા સમાજ રવિવારે મિસરી કેલેન્ડર મુજબના મોહરમ માસનો દસમો દિવસ આશુરા મનાવશે. આ દિવસે સૌરાષ્ટ્ર સહિત દુનિયાભરના દાઉદી વ્હોરા બિરાદરો પોતાના ધંધા રોજગાર બંધ પાળી સુર્યોદયથી સૂર્યાસ્ત સુધી અન્નનો દાણો અને પાણીનું એક ટીપું મોઢામાં નાખ્યા વગર આખો દિવસ ફાંકો પાળી હઝરત ઇમામ હુસૈન અને તેમના સાથી સગા સંબંધીઓ હિજરી સન ૬૧માં સત્યની વેદી પર બલિદાન આપ્યું તેમનો શોક મનાવશે.
ગત બીજી મોહરમથી રાજકોટ, ભાવનગર, અમરેલી, જામનગર, સુરેન્દ્રનગર, જૂનાગઢ, મોરબી, બોટાદ, પોરબંદર, ગીર સોમનાથ, દ્વારકા, જસદણ સહિતના સૌરાષ્ટ્રના જીલ્લા અને વ્હોરા સમુદાયના વસવાટવાળા ગામેગામ વ્હોરા બિરાદરો પોતાના ગામોમાં હઝરત ઇમામ હુસૈન શોકનું આ પર્વ મનાવતા ત્યારે આવતીકાલે આશુરાના દિવસે આખો દિવસ વાએઝ સાંભળી હઝરત ઇમામ હુસૈન ગર્વભેર યાદ કરશે.
આ તકે હૈયાફાંટ રૂદન વચ્ચે માતમનો કોહરામ મચી જશે નોંધનીય છે કે હાલ દાઉદી વ્હોરા સમાજના ત્રેપનમાં દાઇ તાજદાર અબુ જાફરૂસ્સાદીક આલિકદર મુફદ્દલ સૈફુદ્દીન (ત.ઉ.શ.) ઇંગ્લેન્ડના લંડન શહેરની હુશેની મુસ્જિદમાં વાએઝ ફરમાવી રહ્યા છે. એ વાએઝ પૈકીના કેટલાક રેકોર્ડિંગનો લાભ સૌરાષ્ટ્રને પણ મળી રહ્યો છે.