ઉનાથી સોમનાથ જતો રોડ વરસાદમાં ધોવાયોઃ ઠેર ઠેર ખાડાઃ વાહનચાલકો હેરાન
ઉના,તા.૬: ઉનાથી સોમનાથ જતો રોડ વરસાદમાં ધોવાય જતા ઠેરઠેર ખાડા પડયા છે. વાહન ચાલકો હેરાન થઇ રહ્યા છે.
શ્રાવણ માસમાં તો મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ મહાદેવના દર્શનાર્થે જઇ રહ્યા છે. ત્યારે ભાવનગર, રાજકોટ, અમરેલી, અમદાવાદ, બરોડા થી આવતા યાત્રિકોને સૌરાષ્ટ્રના અનેક સ્ટેટ અને નેશનલ હાઇવે પરથી પસાર થાય છે અને વર્ષોથી સામાન્ય પ્રજા અને રાજકીય નેતાઓ જોતા આવ્યા છે કે આ સમગ્ર વિસ્તારમાં ઘણી જગ્યાએ વરસાદથી દર વર્ષે રોડ ધોવાઇ જાય છે. રોડ રસ્તાઓ માર (વરસાદનો) ખમી શકતા નથી. યાત્રિકો પોતાના ખાનગી કે સરકારી વાહન (બસ)માં આવે ત્યારે ઉના પહોંચતા, ઉના શહેરમાં અને ઉના પછી પણ ખરાબ રોડ રસ્તાઓ પરથી પસાર થવું પડે છે. સામાન્ય પ્રજા અને યાત્રાળુઓ, પ્રવાસીઓ એવુ ઇચ્છી રહ્યા છે કે ઘણી જગ્યાએ આ પોલાણ વાળી જમીન ઉપર વારંવાર રસ્તા તુટી જતા હોય તો હવે આ રોડ રસ્તાઓ આર.સી.સી.રોડ-સિમેન્ટના રોડ કાયમી ટકાઉ રીતે બને તેવું લોકો ઇચ્છી રહ્યા છે.