નેશનલ કો-ઓપરેટિવ કન્ઝયુમર્સ ફેડરેશન લિ. ન્યુ દિલ્હીની ચૂંટણીમાં પરેશભાઇ પટેલનો ભવ્ય વિજય : વિશાલસિંહ ચેરમેન અને યશપાલસિંહ વાઇસ ચેરમેન તરીકે બિનહરીફ
ટંકારા,તા. ૬ : એનસીસીએફની ચૂંટણી ન્યુ દિલ્હી ખાતે યોજાય હતી. સદર ચૂંટણીમાં આગામી પાંચ વર્ષ માટે ડિરેકટરોની ચૂંટણી કરવામાં આવી. જેમાં ગુજરાતમાંથી ક્રિભકોના ડિરેકટર પરેશભાઇ પટેલ દ્વારા ઉમેદવારી નોંધાવી હતી. શ્રી પરેશભાઇ પટેલે મહારાષ્ટ્ર મુંબના શ્રી વિરેન્દ્રસિંહ સામે ૪૭ માંથી ૩૬ મત મેળવી ભવ્ય જીત મેળવી, પ્રતિસ્પર્ધી વિરેન્દ્રસિંહને ફકત ૧૧ મત મળ્યા હતા. મતદાન ભારતના દરેક રાજ્યો પૈકી ડેલીગેટોએ કરવાનું હતું.
હરિફ વિરેન્દ્રસિંહ અગાઉ બે વાર ચેરમેન અને એક વાર વાઇસ ચેરમેન તરીકે રહી ચૂક્યાં છે. તેમને પરેશભાઇ પટેલે ૩૬ મત મેળવી કારમી હાર આપી છે. હવે એનસીસીએફમાં ગુજરાતના એક માત્ર ડિરેકટર પરેશભાઇ પટેલ પ્રતિનિધિત્વ કરશે. ગુજરાતમાંથી ૨૧ જેટલા ડેલીગેટોએ મતદાનમાં ભાગ લીધો હતો. આ ચૂંટણીમાં ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા, દાદરા અને નગર હવેલી, દમણ, દિલ્હી, હરિયાણા, કર્ણાટક, તામિલનાડુ, કેરાલા, ઉત્તરપ્રદેશ, બિહાર જેવા સમગ્ર ભારતના રાજ્યોના ડેલીગેટોએ મતદાનમાં ભાગ લીધો.
આ ચૂંટણીમાં વિશાલસિંહ એક યુવા ચેરમેન તરીકે યશપાલસિંહ પણ યુવા વાઇસ ચેરમેન તરીકે બિનહરીફ ચુંટાય આવ્યા છે. સમગ્ર દેશના સહકારી આગેવાનો અને કાર્યકરોએ ચેરમેનશ્રી, વાઇસ ચેરમેનશ્રી અને પરેશભાઇ પટેલને શુભેચ્છાઓ પાઠવી હતી. (જયેશ ભટ્ટાસણા-ટંકારા)