ચોટીલા નજીક લેબર કોન્ટ્રાકટરનું અપહરણ : ૫ ઝડપાયા
રૂપિયાની લેતી-દેતીમાં કારમાં ઉઠાવીને વાંકાનેર તરફ નાસવા જતા પોલીસની ટીમે ઝડપી લીધા
(ફઝલ ચૌહાણ - હેમલ શાહ દ્વારા) વઢવાણ - ચોટીલા તા. ૬ : સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા નજીક કરણભાઇ નામના લેબર કોન્ટ્રાકટરનું અપહરણ કરનાર પાંચ શખ્સોને પોલીસે વાંકાનેર તરફ જતા રસ્તા ઉપરથી ઝડપી લીધા છે.
પ્રાપ્ત માહિતી મુજબ આજે સવારે ચોટીલા હાઇવે ઉપરથી લેબર કોન્ટ્રાકટર કરણભાઇ તથા તેના ૨ સાથીદારો પસાર થઇ રહ્યા હતા ત્યારે પાંચ શખ્સોએ કારમાં આવીને કરણભાઇનું અપહરણ કર્યું હતું. જ્યારે સાથે રહેલા એક વ્યકિતને છરીનો ઘા વાગતા તેમને તાબડતોબ હોસ્પિટલે પહોંચીને પોલીસને જાણ કરી હતી જેથી પોલીસે નાકાબંધી તથા સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી હતી.
એક વર્ષ પહેલાં લેબર કોન્ટ્રાકટર દ્વારા ૩૫ મજૂરોને લઈને ફેકટરીમાંથી છૂટા કરી દેવામાં આવ્યા હતા. જેમાં ફેકટરીમાંથી છૂટા કરી દેવામાં આવતા ફેકટરીનાં માલીકને મોટાપાયે નુકસાન થવાની ભીતિ સર્જાઇ હતી જેને લઇને નુકશાન જતા આ કોન્ટ્રાકટરનું અપહરણ કરવામાં આવ્યું હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલવા પામ્યું છે. ફેકટરીના માલિક અને અન્ય લોકો દ્વારા પણ કરવામાં આવ્યું હોવાનું ખૂલ્યું છે.
ત્યારે આ મામલે આગળની કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે આ પાંચ ઈસમોને ગાડી સાથે ઝડપી લેવામાં આવ્યા છે અને ચોટીલા ખાતે એફઆઈઆર દાખલ કરવાની તજવીજ પોલીસે હાથ ધરી છે તેમ ડીવાયએસપી ચેતનભાઇ મુંધવાએ જણાવ્યું છે.