પત્ની સાથે વાત કર્યાનો ખાર રાખી પિતા-પુત્ર સહિત ત્રણ ઉપર હુમલો
મોરબીના બાદનપર ગામનો બનાવ : જયેશ સહીત ૪ સામે ફરીયાદ
મોરબી તાલુકામાં બાદનપરની સીમમાં પત્ની સાથે વાત કર્યાનો ખાર રાખી ૪ શખ્સોએ પિતા-પુત્ર સહિત ત્રણ ઉપર હુમલો કર્યો હતો. આ મામલે ભોગ બનનારે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરી હતી.
જેમાં ફરિયાદી નરેન્દ્રભાઇ મોહનભાઇ સાવરીયાએ આરોપી જયેશ પરસોતમભાઇ સાવરીયા, કિશોર પરસોતમભાઇ સાવરીયા, રસીક બાબુલાલ સાવરીયા અને લાલા બાબુલાલ સાવરીયા વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરતાં જણાવ્યુ હતું કે, નરેન્દ્રભાઇના નાનાભાઇને આરોપી જયેશે તેની પત્ની વૈશાલી સાથે અઠવાડીયા પહેલા ખેતરના શેઢે વાતોચીતો કરતા જોઇ જતા તેની શંકા રાખી ચારેય આરોપીઓ હાથમાં લાકડાના ધોકા લઇને આવ્યા હતાં અને નરેન્દ્રભાઈને ડાબા પગે તેમજ ડાબા હાથે લાકડાના ધોકાનો ધા મારેલ અને ઢીકા પાટુનો માર મારવા લાગેલ તેમજ તેમના કાકા મનોજભાઇ વચ્ચે પડતાં આરોપીઓએ બન્ને હાથે લાકડાના ધોકા વતી માર મારતા તેમણે ઘાયલ કર્યા હતાં અને આ ઉપરાંત નરેન્દ્રભાઈના પિતા મોહનભાઇને બન્ને સાથળના ભાગે લાકડાના ધોકા વતી માર મારવા લાગેલ અને શરીરે ઢીકાપાટુનો મુંઢ માર મારીને ગંભીર રીતે ઘાયલ કર્યા હતાં અને નરેન્દ્રભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ફરિયાદીના આધારે પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.