પોરબંદરના હેરીટેજ રેલ્વે સ્ટેશનને વર્લ્ડ કક્ષાનું બનાવવા કેન્દ્રીય બજેટમાં ખર્ચ ફાળવણી
અગાઉ કુ. મમતા બેનરજી કેન્દ્રીય રેલ્વે મંત્રી હતા તે સમયે પોરબંદરને વિશ્વકક્ષાનું બનાવવા કેન્દ્રીય બજેટમાં ખર્ચ મંજૂર કર્યો હતાં ત્યારપછી બીજીવાર પોરબંદર રેલ્વે સ્ટેશનને વર્લ્ડ કક્ષાનું બનાવવા બજેટમાં સમાવેશ કરાયોઃ અગાઉના કેન્દ્રીય બજેટમાં ખર્ચ મંજૂરી બાદ તે સમયે પોરબંદર રેલ્વે સ્ટેશનમાં ઉભી કરાયેલી સુવિધાઓમાં આજે એકપણ સુવિધા નથીઃ સીસીટીવી કેમેરા, એટીએમ મશીન, ઓટોમેટીક ટીકીટ વેન્ડર મશીન મેટલ ડીરેકટર બંધઃ ર કેન્ટીંગો બંધ હોય મુસાફરોને પ્લેટફોર્મ બહારથી નાસ્તો લેવા જવુ પડે છેઃ દેશના ર૭ રેલ્વે સ્ટેશનોને વર્લ્ડ કક્ષાનું બનાવવા માટે પસંદગીમાં પોરબંદર રેલ્વે સ્ટેશનનો સમાવેશ
(હેમેન્દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર તા. ૭ :.. કેન્દ્રીય બજેટમાં પોરબંદરના હેરીટેજ રેલ્વે સ્ટેશનને વર્લ્ડ કક્ષાનું બનાવવા માટે ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે દેશમાં ર૭ રેલ્વે સ્ટેશનોને વર્લ્ડ કક્ષાના બનાવવા માટે કેન્દ્રીય બજેટમાં ખર્ચ મંજૂરીમાં પોરબંદર રેલ્વે સ્ટેશનનો સમાવેશ કરવામાં આવ્યો છે.
અગાઉ કુ. મમતા બેનરજી કેન્દ્રીય રેલ્વે મંત્રી હતા ત્યારે તેમણે પોરબંદરના રેલ્વે સ્ટેશનને વર્લ્ડ કક્ષાનું બનાવવા ખર્ચ મંજૂર કરેલ હતો ત્યાર પછી બીજીવાર વર્તમાન સમયે ર૦ર૩-ર૪ કેન્દ્રીય બજેટમાં પોરબંદર રેલ્વે સ્ટેશનને વર્લ્ડ કક્ષાનું બનાવવા બજેટમાં ખર્ચ ફાળવણી કરાય છે. અગાઉના બજેટમાં પોરબંદર રેલ્વે સ્ટેશનનો વિકાસ કરવા ઉભી કરાયેલી પ્રાથમિક સહિત સુવિધાઓ આજે અદૃશ્ય છે.
પોરબંદર રેલ્વે સ્ટેશનમાં આજે સીસીટીવી કેમેરા, એટીએમ, ઓટોમેટીક ટીકીટ વેન્ડર મશીન, મેટલ ડીરેકટર બંધ છે. રેલ્વે પ્લેટફોર્મ ઉપર ર કેન્ટીંગો આજે બંધ છે.
જેથી મુસાફરોને નાસ્તો ભોજન લેવા પ્લેટ ફોર્મની બહાર જવું પડે છે. રેલ્વે સ્ટેશન ઉપર લીફટ બંધ હાલતમાં છે. જેથી બીમાર અને વૃધ્ધજનોને સામેના પ્લેટ ફોર્મ ઉપર બ્રીજના પગથીયા ચડીને જવું પડે છે. રેલ્વે સ્ટેશનમાં કુલી સુવિધા નથી.
રાષ્ટ્રપિતા પૂ. ગાંધીજીના જન્મ સ્થળના શહેરનું મહત્વ સમજીને પોરબંદર રેલ્વે સ્ટેશનને વિશ્વ કક્ષાનું બનાવવા માટે પસંદ કરવામાં આવ્યું છે. રેલ્વે સ્ટેશન પટ્ટાંગણમાં ૧૦૦ ફુટ ઉંચા થાંભલામાં રાષ્ટ્રધ્વજ લહેરાય રહ્યો છે.