જસદણ જલારામ મંદિરે ભાગવત કથાની વિશાળ પોથીયાત્રા નીકળી
(ધર્મેશᅠ કલ્યાણી દ્વારા) જસદણ, તા. ૭ : જસદણમાં પૂજય સંત શ્રી હરિરામ બાપા પ્રેરિત જલારામ મંદિર ખાતે સમસ્ત હરી પરિવાર તથા જલારામ સત્સંગ મંડળ દ્વારા ભાગવત કથા શરૂ થઈ છે. આ પ્રસંગે આજે સવારે શ્રીનાથજીની હવેલી જસદણ ખાતેથી વિશાળ પોથીયાત્રા નીકળી છત્રી બજાર, ટાવર ચોક, મેઈન બજાર થઈને જલારામ મંદિરે પહોંચી હતી. વ્યાસપીઠ ઉપરથી જુનાગઢ વાળા શાસ્ત્રી શ્રી ઈશ્વરચંદ્ર વ્યાસ કથાનું રસપાન કરાવી રહ્યા છે. તારીખ ૧૩-૭ ના રોજ કથાની પૂર્ણાહુતિ થશે. કથા દરમિયાન તારીખ ૧૦-૭ ને રવિવારે બપોરે રામ જન્મ મહોત્સવ તથા સાંજે ૬ કલાકે કૃષ્ણ જન્મ યોજાશે. કથા દરમિયાન દરરોજ સવારે તથા સાંજે રામાયણના પાઠ, સુંદરકાંડના પાઠ, રામધુન, સત્સંગ, પૂજા, આરતી સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે. કથા દરમિયાન બંને ટાઈમ ભોજન મહાપ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે. તારીખᅠ ૧૩-૭ ને બુધવારે ગુરુપૂર્ણિમાના દિવસે બપોરેᅠ બ્રહ્મલીન સંત પૂજય હરિરામબાપાનાં ગુરૂ પૂજનનો કાર્યક્રમ યોજવામાં આવશે. ભાગવત કથા સત્સંગ સહિતના તમામ ધાર્મિક કાર્યક્રમમાં જાહેર જનતાએ ઉપસ્થિત રહેવા જલારામ સત્સંગ મંડળ તથા હરી પરિવારે અનુરોધ કર્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે પૂજય હરિરામ બાપા ની પ્રેરણાથી જસદણના જલારામ મંદિરે, આટકોટના વીરબાઈ માતાજીના મંદિરે તેમજ નાગપુર ખાતે જલારામ મંદિરે વર્ષોથી અખંડ રામધૂન અને અન્નક્ષેત્ર સહિતના સેવા યજ્ઞ ચાલી રહ્યા છે. પૂજય સંત હરિરામ બાપા વિશ્વના એક માત્ર એવા સંત હતા કે જેમણે પોતાના જીવન દરમિયાન કોઈપણ લોકોને કંઠી બાંધી નથી, તેમજ આશ્રમો કે મઠ બનાવ્યા નથી, તેમના જીવન દરમિયાન તેમને પૈસાને હાથ અડાડ્યો નથી તેમજ તેઓ ક્યારેય ઊંચા આસને બિરાજયા નથી પરંતુ ભક્તોની વચ્ચે નીચે જ બેસતા હતા. લોકોને ભોજન કરાવવું અને ભજન કરવું એ જ માત્ર તેમનો જીવન મંત્ર હતો. આવા સાદગીયુક્ત સંત પૂજય હરિરામ બાપાને લોકો આજે પણ અંતરના ઉમળકા થી યાદ કરી રહ્યા છે.