પોરબંદર ના અસ્માવતી ઘાટની દીવાલના મરામત કાર્યનો બાબુભાઇ બોખીરીયાના હસ્તે પ્રારંભ
પોરબંદર,તા.૭: વાવાઝોડામાં તુટી ગયેલી અસ્માવતી ઘાટની તુટી ગયેલી વિશાળ દિવાલના પ,૬૩ કરોડના ખર્ચે મરામત કાર્યનો આજે બપોરે ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયાના હસ્તે પ્રારંભ કરાવવામાં આવશે.
અસ્માવતી ઘાટ ખાતે ગુજરાત મેરીટાઇમ બોર્ડ હસ્તકની જમીનમાં આવેલી દિવાલ ‘‘વાયુ'' વાવાઝોડા વખતે ડેમેજ થઇ જવા પામેલ હતી. તેનું ફરીથી મજબુતી કરણ કરવા માટે રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલને ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયાએ રજુઆત કરતા મુખ્યમંત્રીએ ડેમેજ થઇ ગયેલી આ દિવાલના મજબુતી કરણ માટે રૂા.૫.૬૩ કરોડ જેવી માતબર રકમ મંજુર કરેલ છે. ગુજરાત મેરીટાઇમ બોર્ડ દ્વારા આ કામની ટેન્ડર સહિતની તમામ વહીવટી પ્રક્રિયા પૂર્ણ કરી લઇ, મહેન્દ્રકુમાર એન્ડ કંપની નામની એજન્સીને આ કામનો વર્ક ઓર્ડર પણ આપી દેવામાં આવેલ છે.આજે બપોરે ૩.૩૦ કલાકે અસ્માવતી ઘાટ ખાતેથી ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયાના હસ્તે આ મરામત કામનો શુભારંભ પણ કરી દેવામાં આવશે.
૭૦૦ મીટર જેટલી દિવાલના મજબુતીકરણના આ કામમાં ‘‘બી '' અને ‘‘સી'' કલાસ ‘‘પથ્થર ટો બમ્પ'' મૂકવાનું કામ, એક ટન ટેટ્રાપોલ બે લેયર અંદાજીત ૧૧૭૦૦ નંગ મૂકવાનું કામ, રોડની જૂની દિવાઁલમાં ગ્રેનાઇટીંગનું કામ અને અસ્માવતી ઘાટ પાસે પેવર બ્લોક રોડ તથા પ્રોટેકશન વોલ બનાવવાના કામનો સમાવેશ થાય છે.