નરેન્દ્રભાઇ મોદીના સતાયુની કામના સાથે કચ્છ ભાજપ દ્વારા મહામૃત્યુંજય જાપ કરાયા
કોંગ્રેસની હિન કક્ષાની રાજનીતીનો યુવા ભાજપનો મશાલ રેલી દ્વારા વિરોધ
(વિનોદ ગાલા દ્વારા) ભુજ, તા., ૭ઃ ભુજ ખાતે કચ્છ જીલ્લા ભાજપ અધ્યક્ષ કેશુભાઇ પટેલ સહીતના કાર્યકરોની ઉપસ્થિતિમાં સોમનાથ મહાદેવ મંદિર ખાતે પક્ષના કાર્યકર્તાઓએ મોટી સંખ્યામાં હાજર રહીને વડાપ્રધાનશ્રીના સતાયુ માટે મહામૃત્યુંજય મંત્રના જાપ દ્વારા દેવાધિદેવ મહાદેવન ચરણોમાં પ્રાર્થના કરી હતી. કોંગ્રેસની આ પ્રકારની અક્ષમ્ય અને હિન રાજનીતી સામે વિરોધ પ્રદર્શીત કરવા જીલ્લાભરમાં યુવા ભાજપ દ્વાર પણ મશાલ રેલી અને પુતળા દહનના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. પુતળા દહન વખતે ભાજપના કાર્યકર્તાઓ દ્વારા કોંગ્રેસ વિરોધી સુત્રોચ્ચાર કરીને કોંગ્રેસના માનવતા વિહોણી કરતુતોને વખોડી કાઢી હતી.
આ દુઃખદ ઘટના અંગે પ્રત્યાઘાત આપતા કચ્છ જીલ્લા ભાજપ અધ્યક્ષ કેશુભાઇ પટેલે જણાવ્યું હતું કે એક હદ સુધી ખેલદીલી પુર્વકની રાજનીતી સ્વીકાર્ય હોઇ શકે પરંતુ કોંગ્રેસે એ ભુલવુ ન જોઇએ કે વડાપ્રધાન પદ એ કોઇ પક્ષનું નહી પરંતુ ૧૨૫ કરોડ ભારતીયોનું પ્રતિબંધ છે. વડાપ્રધાનશ્રીની ગરીમા અને સુરક્ષા જાળવવી એ કોઇ પણ રાજય સરકાર માટે યક્ષ પ્રાથમીકતા હોવી અનિવાર્ય છે. ત્યારે પંજાબની કોંગ્રેસ સરકારે લાજ મર્યાદા અને નૈતિક સિધ્ધાંતોનું સંપુર્ણપણે હનન કરીને જે પ્રકારે વડાપ્રધાનશ્રીની જીંદગીને જોખમમાં મુકી છે તે જોતા દેશવાસીઓ કોંગ્રેસના પાપને કયારેય માફ નહી કરે.
આ પ્રસંગે કચ્છ જીલ્લા ભાજપ મહામંત્રી શીતલભાઇ શાહ, જીલ્લા ભાજપ ઉપપ્રમુખ જયંતભાઇ માધાપરીયા, ડો.મુકેશભાઇ ચંદે, મંત્રી પ્રફુલસિંહ જાડેજા, જીલ્લા યુવા મોરચા પ્રમુખ તાપશભાઇ શાહ, મહિલા મોરચા પ્રમુખ ગોદાવરીબેન ઠક્કર, ભુજ નગર પાલીકા પ્રમુખ ઘનશ્યામભાઇ ઠક્કર, ભુજ શહેર ભાજપ પ્રમુખ બાલક્રિષ્નભાઇ મોતા, શહેર મહામંત્રી જયદીપસિંહ જાડેજા, ભૌમીકભાઇ વચ્છરાજાની સહીત જીલ્લા ભાજપના હોદેદારો, શહેર સંગઠનના હોદેદારો, નગરપાલીકાના કાઉન્સીલર શ્રીઓ, સેલ અને મોરચાના હોદેદારો ઉપસ્થિત રહયા હોવાનું કચ્છ જિલ્લા ભાજપ મીડીયા ઇન્ચાર્જ સાત્વિકદાન ગઢવીની યાદીમાં જણાવાયું હતું.