માળીયા હાટીનામાં એડવોકેટની હત્યાની કોશિષ કરનાર ત્રિપુટીની શોધખોળ
અગાઉના મનદુઃખથી મારી નાખવાનો પ્રયાસ કર્યો
(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ, તા. ૮ :. માળીયા હાટીનામા એડવોકેટની હત્યાની કોશિષ કરનાર ત્રિપુટીની પોલીસે શોધખોળ હાથ ધરી છે.
માળીયા ખાતે ચિત્રકુટધામ સોસાયટીમાં રહેતા એડવોકેટ પંકજકુમાર પ્રભાશંકર જોષી (ઉ.વ. ૪૪) ઉપર ગઈકાલે તેમના ઘર પાસે માળીયાનો દર્શન જગદીશભાઈ બાવાજી, વિશાલ વિક્રમભાઈ ત્રોટા અને અરમાન ઈશા કોરડીયાએ લોખંડના પાઈપ અને પાવડાના હાથા વડે હુમલો કર્યો હતો.
આ હુમલાથી ગંભીર ઈજા થતા પ્રથમ માળીયા અને બાદમાં પંકજ જોષીને વિશેષ સારવાર માટે જૂનાગઢ ખાતે ખસેડવામાં આવ્યા છે.
વકીલે ફરીયાદમાં તેમના ભત્રીજા નેમિષે આરોપી વિશાલના મોટાભાઈ મેહુલ સામે કેસ કરેલ. જેમાં પંકજભાઈનો નાનો ભાઈ રાજુ સાહેદ હોય જે મનદુઃખમા ત્રણેય શખ્સોએ હુમલો કર્યો હોવાનું જણાવ્યુ હતું.
પીએસઆઈ એસ.આઈ. મધરાએ આરોપી સામે હત્યાની કોશિષનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.