સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 8th February 2023

જસદણના પાંચવડા ગામના ગુમ થયેલ યુવાનની પોતાની વાડીમાં ઝેરી દવા પી આપઘાત

માનસિક બીમારીથી કંટાળી યુવાને આપઘાત કરી લેતા પોલીસે વધુ તપાસ હાથ ધરી

જસદણ તાલુકાના પાંચવડા ગામે રહેતા યુવાને પોતાની વાડીએ ઝેરી દવા પી આપઘાત કરી લેતા પરિવારજનોમાં કરૂણ કલ્પાંત મચી ગયો હતો. પ્રાપ્ત વિગતો મુજબ, જસદણના પાંચવડા ગામે રહેતા રાજેશભાઈ જીણાભાઈ રાદડીયા(ઉ.વ.40) ની પોતાની વાડીમાંથી ઝેરી દવા પીધેલી હાલતમાં લાશ મળી આવી હતી. આ બનાવની જાણ થતા આટકોટ પોલીસનો સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.   

   બાદમાં આટકોટ પોલીસે યુવાનના મૃતદેહને પીએમ અર્થે જસદણની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી. આ આપઘાતના બનાવમાં મૃતક રાજેશભાઈ છેલ્લા ઘણા સમયથી માનસિક બીમાર હતા. જેથી બીમારીના કારણે તેમણે દવા ગટગટાવી આપઘાત કરી લીધાનું પોલીસ સુત્રોમાંથી જાણવા મળ્યું હતું.

 અત્રે ઉલ્લેખનીય છે કે, ગઈકાલે રવિવારે રાજેશભાઈ પોતાના ઘરેથી કોઈને કહ્યા વગર ગુમ થઈ ગયા હતા જેની જાહેરાત પણ કરાઈ હતી. ત્યારે આજે બીજા દિવસે તેમની લાશ મળી આવતા પરિવારજનોમાં કરૂણ કલ્પાંત મચી ગયો હતો. હાલ આ બનાવની વધુ તપાસ આટકોટ પોલીસ ચલાવી રહી છે.

(1:09 am IST)