મોરબી : ઝૂલતો પુલ દુર્ઘટનામાં પિતા - પુત્રની જામીન અરજીમાં કોર્ટ ૯ ફેબ્રુઆરીએ પક્ષકારોન સાંભળશે
બે આરોપીની જામીન અરજીમાં મુદત પડી આજે જયસુખ પટેલને પણ કોર્ટમાં રજુ કરાશે
(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા. ૮ : મોરબી ઝૂલતો પુલ દુર્ઘટના કેસમાં અગાઉ ઝડપાયેલા નવ આરોપી પૈકી સાતની જામીન અરજી નામંજૂર કરવામાં આવ્યા બાદ કોન્ટ્રાકટર પિતા-પુત્રએ મોરબી કોર્ટમાં જામીન માટે અરજી કરી હોય જેની આજે મુદત હતી જેમાં આજે કોર્ટે દલીલો સાંભળી છે અને તા. ૦૯ ફેબ્રુઆરીને રોજ કોર્ટ પક્ષકારોને સાંભળશે તેવી માહિતી પ્રાપ્ત થઇ છે.
મોરબી ઝૂલતો પુલ દુર્ઘટના કેસમાં ગુનો નોંધી પોલીસે ઓરેવા ગ્રુપના મેનેજર સહિતના નવ આરોપીઓની ધરપકડ કરી હતી જેમાંથી ઓરેવા ગ્રુપના મેનેજર, ક્લાર્ક સહિતના સાત આરોપીઓએ કરેલી જામીન અરજી કોર્ટે આજે નામંજૂર કરી હતી જયારે અન્ય બે આરોપી કોન્ટ્રાકટર પ્રકાશ લાલજીભાઈ પરમાર અને દેવાંગ પ્રકાશભાઈ પરમારે કોર્ટમાં કરેલી જામીન અરજીમાં આજે દલીલો કરવામાં આવી હતી અને તા. ૦૯ ની મુદત પડી છે ત્યારે હવે તા. ૦૯ ના રોજ બંને આરોપીઓનો પક્ષ કોર્ટ સાંભળશે.
જયસુખ પટેલ કોર્ટ સમક્ષ હાજર થયા બાદ કોર્ટે તેમને જેલહવાલે કરવાનો હુકમ કર્યો હતો અને તપાસ અધિકારીએ આરોપીનો કબજો મેળવ્યા બાદ કોર્ટમાં રજુ કરતા કોર્ટે તા. ૮ ફેબ્રુઆરી સુધીના રિમાન્ડ મંજુર કર્યા હતા જે રિમાન્ડ આજે તા. ૮ને બુધવારે પૂર્ણ થતા હોય જેથી બુધવારે જયસુખ પટેલને કોર્ટમાં રજુ કરવામાં આવશે.