સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 8th December 2021

ભાવનગરના દર્દીઓમાં વેરિયન્ટ અંગે તપાસ થશે

ઓમિક્રોનના ભયે તંત્રની ઊંઘ હરામ કરી : અમદાવાદ લગ્નમાં આવેલા ૨૦ લોકો અલગ પરિવારના હતા, તેમાંથી ૧૩ લોકો કોરોના પોઝિટિવ

ગાંધીનગર, તા.૭ : દુનિયાભરમાં કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનને કારણે હાહાકાર મચી ગયો છે. આ વેરિયન્ટનું સંક્રમણ વધે નહીં તે માટે તમામ સરકારો પ્રયત્ન કરી રહી છે. ભારત દેશની વાત કરીએ તો ગુજરાત સહિત પાંચ રાજ્યોમાં અત્યાર સુધી ઓમિક્રોનના ૨૧થી વધારે કેસ સામે આવ્યા છે. આ કેસ વધે નહીં અને કોરોના સંક્રમિત લોકો નિયમોનું પાલન કરે તે સુનિશ્ચિત કરવા માટે એરપોર્ટ, બંદરો અને રેલવે સ્ટેશનો પર હવે ટેસ્ટિંગ શરુ કરી દેવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે નવેમ્બર મહિનાના અંતમાં અમદાવાદના સિંધુભવન રોડ સ્થિત એક હોટલમાં લગ્ન સમારોહમાં ભાવનગરથી ૨૦ લોકો હાજરી આપવા આવ્યા હતા. આ ૨૦ લોકો અલગ અલગ પરિવારના હતા અને તેમાંથી ૧૩ લોકોનો કોરોનો ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ૧૩ દર્દીઓમાંથી ૩ને ઓક્સિજન સપોર્ટની પણ જરુર પડી છે. હવે ભાવનગર પાલિકા તપાસ કરવા માંગે છે કે આ ૧૩ લોકોમાં કોરોના વાયરસનો કયો વેરિયન્ટ છે. દર્દીઓમાં વુહાન, ડેલ્ટા કે ઓમિક્રોન વેરિયન્ટ છે તે તપાસવા માટે દર્દીઓના સેમ્પલ ગાંધીનગર સ્થિત બાયોલોજીકલ રિસર્ચ ઈન્સ્ટિટ્યુટને મોકલવામાં આવે છે, જ્યાં જિનોમ સિક્વન્સિંગ કરવામાં આવશે.

       રાજ્યના પ્રથમ ઓમિક્રોન સંક્રમિત દર્દીની વાત કરીએ તો તેમના પત્ની અને સાળાનો કોરોનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. તેમના સંપર્કમાં આવનારા તમામ લોકોના ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યા છે. અહીં ચિંતાજનક બાબત એ છે કે સંક્રમિત થયેલા મહિલા ઘરે સાત બાળકોને ટ્યુશન આપતા હતા. અત્યારે આ તમામ બાળકોને શોધીને આરટી-પીસીઆર ટેસ્ટ કરવામાં આવ્યો છે અને તેમને હોમ ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે. ગાંધીનગર સ્થિત બાયોલોજિકલ રિસર્ચ ઈન્સ્ટિટ્યુટમાં અત્યારે પંદરથી વધારે નમૂના જિનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવ્યા છે.

         આ નમૂના રાજકોટ, જામનગર, નવસારી, સુરેન્દ્રનગર, અમદાવાદ અને ભાવનગરથી મોકલવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, વિદેશથી અને ખાસકરીને હાઈરિસ્ક દેશોમાંથી મુંબઈ અને દિલ્હી આવીને પછી રોડ માર્ગે ગુજરાતમાં પ્રવેશનારા મુસાફરોને ટ્રેસ કરવાની અત્યારે કોઈ વ્યવસ્થા નથી. અમુક મહાનગરો દ્વારા એરપોર્ટ્સ પાસેથી વિગતો મેળવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે આરોગ્ય તંત્ર દ્વારા રોડ માર્ગે ગુજરાતમાં પ્રવેશતા મુસાફરોના ટેસ્ટિંગની કોઈ નક્કર વ્યવસ્થા અમલમાં મૂકવામાં આવે તેની જરુર જણાઈ રહી છે. વલસાડ-વાપીથી આવતા મુસાફરો માટે આરોગ્ય વિભાગની ટીમ સવારથી હાઈવે પર ગોઠવવામાં આવે છે, પરંતુ તેમની પાસે વાહન રોકીને ટેસ્ટ કરવાની સત્તા નથી.

(9:20 pm IST)